રાયધણપર (તા. ભુજ), તા. 15 : તાલુકામાં
ધ્રંગ ખાતે વિવિધ વિકાસ કામોનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ
છાંગાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સમારોહમાં
રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે, મેકરણ દાદાની આ પવિત્ર ભૂમિમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો કચ્છના લોકજીવનની
ઝાંખી છે. સ્ટેટ હાઈવેને જોડાતા પુલના લોકાર્પણની અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો
થશે. તેમણે આ પ્રસંગે નાગરિકોને રાજ્ય તેમજ ભારતના વિકાસમાં સહયોગ કરવા અનુરોધ કર્યું
હતું. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં
આ વિસ્તાર તેમજ આ પવિત્ર ભૂમિ માટે ખૂટતી તમામ વિકાસની કડીઓ ને રાજ્ય સરકાર પૂર્ણ કરશે.
અદ્યતન લાયબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત સાથે સહયોગની ખાત્રી ઉચ્ચારી તેમણે
કહ્યું હતું કે, વડાપ્રધાનની દીર્ધદૃષ્ટિથી કચ્છમાં નર્મદા નીર
આવ્યા બાદ ઝડપભેર કામો થઈ રહ્યા છે. આ પ્રસગે
જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મહંત મુળજીરામ કાપડી,
જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લા પંચાયતનું સદસ્ય દામજીભાઈ ચાડ, આગેવાનો દેવજીભાઈ
વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેષભાઈ ખંડોલ,
તેજાભાઈ આહીર, સતીષભાઈ છાંગા, હરિભાઈ જાટીયા, બાબુભાઈ હુંબલ સહિત વિવિધ ગામના સરપંચ
તથા નાગરિકો ઉપસ્થિત હતા.