ભુજ, તા. 3 : સત્તાપક્ષના હોદ્દેદારો દ્વારા
વિકાસકામોમાં થતા ભ્રષ્ટાચારથી ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓના સભ્યો
પણ પરેશાન હોવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકો પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ કચ્છ જિલ્લા કોંગ્રેસ
પ્રમુખ દ્વારા વ્યક્ત કરાયો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદને
સંબોધતાં જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે સત્તાપક્ષ પર ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ કરતાં
જણાવ્યું હતું કે, ભાજપના હોદ્દેદારો નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં કામોમાં
ટકાવારી લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી કામો નબળાં થતાં ખુદ સત્તાપક્ષના
જ ચૂંટાયેલા સભ્યો નારાજ છે, ત્યારે આ ભ્રષ્ટાચારથી ત્રાસેલા
લોકો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાથી કોંગ્રેસ પક્ષ
ભવ્ય વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શ્રી હુંબલે જણાવ્યું હતું કે,
સત્તાપક્ષને અનુકૂળતા મુજબ સીમાંકન કરાયું છે, જેમાં ખૂબ જ વિષમતા રહેલી છે અને વાંધા અરજીઓને ગ્રાહ્ય રાખી નથી. આ તકે તેમણે
શિક્ષકોની ઘટ, આરોગ્યમાં ખાલી જગ્યાઓ, દારૂ
અને ડ્રગ્સના વધેલા દૂષણ, ગામડાંઓમાં પીવાનાં પાણીની સમસ્યા સહિતના
પ્રશ્નોને લઈને પ્રજા આ વખતે પરિવર્તન ઈચ્છી રહી હોવાનું જણાવ્યું હતું. આ પત્રકાર
પરિષદમાં પ્રદેશ સમિતિના નિરીક્ષક યાસીન ગજણ, રામદેવસિંહ જાડેજા,
ગનીભાઈ કુંભાર ઉપસ્થિત રહ્યા હોવાનું પ્રવકતા અંજલિ ગોરે જણાવ્યું હતું.