ટોક્યો, તા. 7 : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ
રવિવારે રાજીનામું આપી દીધું હતું. સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભાગલાથી બચવા
માટે ઈશિબાએ આ મોટું પગલું ભર્યું હતું. ઈશિબાની જોડાણ સરકાર જુલાઈમાં થયેલી ઉપલાં
ગૃહની ચૂંટણીમાં હારી ગઈ હતી. તેમણે તાજેતરમાં માફી માગી હતી અને કહ્યું હતું કે, હવે રાજીનામું આપવા અંગે તરત નિર્ણય લઈશ. ચૂંટણીમાં
હાર બાદ પક્ષમાં `ઈશિબાને હટાવો' આંદોલન શરૂ થઈ ગયું હતું. પક્ષના કેટલાક નેતાઓ
અને સાંસદોએ શિગેરુના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. આ આંદોલનથી ઈશિબાની સ્થિતિ કમજોર
થઈ ગઈ હતી. તેમના રાજીનામા બાદ સત્તારૂઢ પક્ષમાં નેતૃત્વની હોડ શરૂ થઈ હતી.ચૂંટણીમાં
હાર ઈશિબા માટે બીજી રાજકીય નિષ્ફળતા હતી. ઓક્ટોબરમાં નીચલા ગૃહની ચૂંટણી હાર્યા બાદ
જોડાણ બંને ગૃહમાં લઘુમતિમાં આવી ગયું હતું.
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના 1955માં થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે, પક્ષે બંને ગૃ માં બહુમત ખોઈ દીધો છે. બહુમત જાળવી રાખવા માટે 75 બેઠક ધરાવતાં જોડાણને 50 નવી બેઠકની જરૂર હતી, પરંતુ 47 જ મળી હતી.