• શુક્રવાર, 24 જુલાઈ, 2026

સંગ્રહ નહીં, સાચવણની નીતિ

સંગ્રહખોરી મોટું દૂષણ છે અને યુદ્ધ કે કોઈ આપદા વખતે તો કાયદા અને કુદરત બન્નેની દૃષ્ટિએ અપરાધ છે. કોઈ વ્યક્તિ કે વેપારીઓ સંગ્રહખોરી કરે તો તે યોગ્ય નથી જ, પરંતુ જે સ્થિતિ વિશ્વસ્તરે છેલ્લાં કેટલાંક વર્ષોથી છે તે જોતાં કિંમતમાં થતાં વધારાની સંભાવનાને ટાળવા, પુરવઠાની સાંકળ જાળવી રાખવા માટે વસ્તુઓના સંચયનું યોગ્ય વ્યવસ્થાપન પ્રશાસનિક સ્તરે જરૂરી છે. વિશ્વભરના દેશોની સરકાર માટે આ દિશામાં વિચાર અનિવાર્ય છે. ફેબ્રુઆરી માસના અંતથી જે સ્થિતિ પશ્ચિમ એશિયામાં છે તેનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે આટલી કટોકટી છતાં પેટ્રોપેદાશના ભાવ અસહ્ય રીતે વધ્યા નથી-સદ્નસીબે. આ સરહદી સંઘર્ષને ઇતિહાસના સૌથી મોટા ઓઈલ શોક એટલે કે તેલના પુરવઠામાં આવેલા સૌથી મોટા અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હોર્મુઝની સામુદ્રધુની મારફત દરરોજ જે જથ્થાનું પરિવહન થાય છે તેના પાંચમા ભાગનો પુરવઠો તે થઈ ગયો હતો તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ધારણા હતી તેના કરતાં ઓછા વધ્યા, સામાન્ય જનતા અને અર્થતંત્ર માટે તે સારું જ છે. 2008માં જે સ્થિતિ ઊભી થઈ હતી તેટલી હદે ભાવ વધ્યા નથી. કારણ એ છે કે 11 માર્ચે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનાં સંકલનમાં એવું પગલું લેવાયું કે તે એજન્સીના સભ્ય દેશોએ ચાર મહિનાના ગાળામાં તેમના તાત્કાલિક તેલભંડારમાંથી 426 મિલિયન બેરલ તેલ બજારમાં મુક્ત કર્યું હતું. આ પુરવઠાને લીધે ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં રહ્યા હતા. ફેબ્રુઆરીના અંતિમ દિવસથી યુદ્ધ શરૂ થયું તેમ છતાં એપ્રિલ-મે માસ દરમિયાન પ્રતિ બેરલ 90થી 110 ડોલર ક્રૂડની કિંમત રહી હતી. યુદ્ધ હવે સમાપ્ત થઈ રહ્યું છે તેવા સંકેત મળ્યા ત્યારે તો 70 ડોલર કે 80 ડોલર પ્રતિ બેરલ તેના ભાવ હતા. ફરી ભીષણ ઘર્ષણ શરૂ થયું છે. અગાઉ સાચવી રાખેલો જથ્થો પણ વપરાઈ રહ્યો છે. ખાદ્ય પદાર્થોની બાબતમાં આ પરિસ્થિતિ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે 1 જૂનના દિવસે ચોખા અને ઘઉંનો જથ્થો 121.7 મિલિયન ટન હતો. આવશ્યકતા કરતાં તે ત્રણગણો વધારે હતો. કઠોળનો જથ્થો પણ સરકારી એજન્સીઓ પાસે ચાર મિલિયન ટનથી વધારે જથ્થો ઉપલબ્ધ છે.  2025-2026ના વિક્રમી ઉત્પાદનને લીધે ભારત સિવાયના દેશોમાં પણ ઘઉં, ચોખા, સોયાબિન, ખાંડ, મકાઈ, પામ ઓઈલ સહિતનો પુરવઠો છે. અલ નીનોને લીધે વરસાદ ખેંચાવાની શક્યતા વચ્ચે આ અનામત જથ્થાનો ઉપયોગ સુરક્ષા કવચની રીતે થઈ શકે તેમ છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું ત્યારે કોરોના સમય હજી માંડ પૂર્ણ થયો હતો. લોકડાઉનને લીધે ખોરવાયેલી પુરવઠા સાંકળમાંથી વિશ્વ હજી બહાર આવી રહ્યું હતું.   23-24માં અલ નીનોને લીધે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો હતો. આ તમામ બાબતનો સાર એ છે કે વિદેશી મુદ્રા ભંડાર હોય કે ખાદ્ય વસ્તુ કે પછી ઈંધણ કે બળતણ, ભૌગોલિક-રાજકીય જોખમોના આ સમયમાં અનામત જથ્થો એકત્ર કરવો તે નીતિ ઘડનારાઓ માટે, સરકાર માટે વ્યૂહાત્મક પગલું છે. આવા ભંડારનો ખર્ચ સંરક્ષણ અને સ્થાયી સૈન્ય જાળવવા જેટલો થાય તે શક્ય છે. હવામાન, યુદ્ધ અથવા ચુકવણી સંતુલન કટોકટીના કારણે પુરવઠાના આંચકા દરમિયાન તેની ઉપયોગિતા સાબિત થાય છે. આ ખર્ચ, તેની વ્યૂહાત્મક ગણતરી, બધું સંકલિત નીતિ ઉપર આધારિત છે. સંગ્રહ  નહીં પરંતુ સંચય કે સાચવણ હવે જરૂરી છે.  

Panchang

dd