નવી દિલ્હી, તા. 23 : ભારતે સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, સરકાર પ્રાયોજિત સીમા પાર આતંકવાદે બન્ને દેશ
વચ્ચે સહયોગનો આધાર જ ખતમ કરી નાખ્યો છે. આપસી વિશ્વાસ અને સદ્ભાવ વિના સિંધુ જળ સંધિ
હેઠળ સહયોગની આશા રાખી ન શકાય તેવું ભારતે સ્પષ્ટ કરી દીધું હતું. પ્રાકૃતિક સંસાધન
પર ઉચ્ચસ્તરીય ખુલ્લી ચર્ચા દરમ્યાન પાકિસ્તાનનાં નિવેદનનો જવાબ આપતાં રાજદૂત હરીશ
પર્વતનેનીએ જણાવ્યું હતું કે, પાકે આ મંચનો ઉપયોગ `ખોટી વાતો' ફેલાવવા માટે કર્યો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું
હતું કે, આતંકવાદને પોષીને પાકિસ્તાન સિંધુ જળ કરાર પર સહયોગની
આશા રાખી શકશે નહીં. સીમાપાર આતંકવાદનો સરકારની નીતિનાં સાધન તરીકે ઉપયોગ કરવા વચ્ચે
આપસી ભરોસો, સદ્ભાવના આધારે સહયોગ શકય નથી. ભારતે એવું પણ કહ્યું
હતું કે, અમે માનવીય આધાર પર પાકિસ્તાનને જ્યારે સ્થિતિ સર્જાશે
ત્યારે પૂરની ચેતવણી આપતા રહીશું. રાજદૂત હરીશ કહ્યું હતું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાન ઇરાદાપૂર્વક
આ બંધારણીય હકીકતની અવગણના કરે છે.