અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના ખેલકૂદ જગતના
દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે
29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમત- ગમત દિવસ ની ઉજવણી કરવામાં
આવે છે. આ વર્ષે,
નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની
ઉજવણી જાહેર કરી છે. એક ઘંટા ખેલ કે મૈદાન મેં
(એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને હર
ગલી હર મૈદાન ખેલે સારા હિંદુસ્તાન (દરેક ગલી
દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ,
ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની
ઉજવણી કરવામાં આવશે. આ ત્રણ દિવસની ઉજવણી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં
આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિર્દેશકની
કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો
રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. 29મીએ ખેલ મહાકુંભ 2025 માટે
તમામ જિલ્લાઓમાં રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે.