નવી દિલ્હી, તા. 27 : રાજ્ય સરકારે રજૂ કરેલા ખરડાને રાજ્યપાલ
કે રાષ્ટ્રપતિ અચોક્કસ સમય સુધી લટકાવી રાખે, તો સુપ્રીમ કોર્ટ શું કરશે ? મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ)
બી.આર. ગવઇની આગેવાની હેઠળની બંધારણીય ખંડપીઠે આવો સવાલ પૂછી ચિંતા વ્યક્ત કરી છે.
મંગળવારે એક મહત્ત્વપૂર્ણ બંધારણીય મામલે સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત
કરી કે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ અનિશ્ચિત કાળ સુધી વિધેયકને
મંજૂરી આપવા ઈન્કાર કરે તો શું ન્યાયપાલિકા તેના પર શક્તિહીન થઈને જોતી રહેશે
? જો વિધાનસભામાં પસાર ખરડાઓ પર વર્ષો સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો
નથી, તો શું કોર્ટ તેના પર કોઈ સમયમર્યાદા નક્કી ન કરી શકે
? સીજેઆઈની બી.આર. ગવઈની આગેવાની હેઠળ પાંચ જજની બંધારણીય ખંડપીઠે મુદ્દાની
ગંભીરતાને ટાંકતા કહ્યુ કે, જ્યારે વિધાયિકાના બન્ને ગૃહે ખરડાને મંજૂરી આપી દીધો છે,
તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે તેના પર અનિશ્ચિતકાળ સુધી વિલંબ કેમ કરવો
જોઈએ ? રાષ્ટ્રપતિ દ્રોપદી
મુર્મૂએ બંધારણની કલમ 143ના સંદર્ભમાં
માગેલા અભિપ્રાયને આધારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ ચિંતા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ભાજપ શાસિત રાજ્યોએ દલીલ રજૂ કરી
કે રાજ્યપાલો તથા રાષ્ટ્રપતિ માટે ખરડા અંગે નિર્ણય લેવા કોઈ સમય મર્યાદા હોવી ન જોઈએ.
મામલો સંસદ પર છોડી દેવો જોઈએ. એવું માની ન શકાય કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આપવામાં
આવેલી વિવેકાધીન શક્તિઓનો દુરુપયોગ થશે.