ભોપાલ, તા. 27 : દેશના સંરક્ષણમંત્રી રાજનાથ
સિંહે બુધવારે જણાવ્યું હતું કે, વિચારી
ન હોય તેવી વિકટ ભૂ-રાજકીય પરિસ્થિતિઓને જોતાં દેશનાં સશત્ર દળોએ ટૂંકા ગાળાથી માંડીને
પાંચ વર્ષ સુધી યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. મધ્યપ્રદેશના મહુમાં આર્મીવોર કોલેજમાં
ત્રણેય સેનાની સંયુક્ત સંગોષ્ઠિ `રણસંવાદ'ને સંબોધતાં
સિંહે કહ્યું હતું કે, ભારત કોઈની પણ જમીન નથી ઈચ્છતું. પરંતુ
પોતાની ક્ષેત્રિય અખંડતાની રક્ષા કરવા માટે ભારત કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેવી ચેતવણી
સંરક્ષણમંત્રીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આજના દોર યુદ્ધમાં
એવાં અચાનક, અણધાર્યા બની ગયાં છે કે, કોઈ
યુદ્ધ કેટલું ચાલશે તેનું અનુમાન મુશ્કેલ છે. ભારતીય સશત્ર દળોએ દરેક સ્થિતિ માટે તૈયાર
રહેવું જોઈએ, રાષ્ટ્રીય સુરક્ષા હવે માત્ર સેનાનો મામલો નહીં
રહેતાં સંપૂર્ણ રાષ્ટ્રના દૃષ્ટિકોણનો મુદ્દો બની ગયો છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ,
એર ચીફમાર્શલ એ. પી. સિંહ, નૌકાદળ વડા એડમિરલ દિનેશ
ત્રિપાઠી સહિત ભારતના ટોચના સૈન્ય અધિકારીઓની હાજરીમાં સંરક્ષણપ્રધાને આ સંદેશ આપ્યો
હતે. રાજનાથ સિંહે `ઓપરેશન સિંદૂર'માં મળેલી સફળતા બદલ ત્રણેય સેનાઓની પ્રશંસા
કરી અને કહ્યું હતું કે, આ અભિયાન ભારતીય સ્વદેશી, ઉપકરણો, હથિયાર પ્રણાલીઓની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને
ઊભર્યું છે.