મુંદરા, તા. 27 : તાલુકાના ધ્રબ ગામના ચેકડેમને
ગત રાત્રે કોઈ ખનિજ માફિયાઓ દ્વારા તોડી પડાયો હોવાની અને તેને કારણે ગામમાં એક તબકકે
પુર જેવી સ્થિતિનું નિર્માણ થયાની તેમજ જાનહાનિનો ભય ફેલાયો હોવાની ફરિયાદ ઉઠી છે.
ગામના સરપંચ ઝરીના એ. તુર્ક દ્વારા જિલ્લા કલેકટર,
ડીએસપી તેમજ મુંદરા પીઆઈને કરેલી લેખિત ફરિયાદમાં ગ્રામ પંચાયત તેમજ
ગ્રામજનો વતી જણાવ્યું હતું કે સૂરઈ નદી પરનો સરકારી ચેકડેમ એ આસપાસના બોર- કુવાના
પાણીનું જળસ્તર ઊંચું લાવી , મીઠા પાણીનો સ્ત્રોત હતો. ખેડૂતોને
લાભદાયી આ ચેકડેમ સારા વરસાદથી ભરાયેલો હતું. પરંતુ, ગત રાત્રે
કોઈ ખનીજ માફિયા દ્વારા મશીનો વડે આ ડેમને તોડી નાખવામાં આવ્યો છે. જેનાથી ગામમાં પૂરની
સ્થિતિ ઊભી થઈ હતી અને મોટાપાયે નુકસાન થયું છે. તસવીર અને વિડિયો મુકવા સાથે પત્રમાં
વધુમાં માગણી કરવામાં આવી હતી કે, આ ગુનાહિત કૃત્યના જે કોઈ જવાબદારો
હોય એની સામે ગંભીર કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.