નવી દિલ્હી, તા. 9 : ભારતીય રેલવેએ
દિવાળીના સપરમા દિવસો દરમ્યાન યાત્રીઓને ભેટ રૂપે રિટર્ન ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટની યોજનાની ઘોષણા
કરી હતી. તહેવારો વખતે ટિકિટ માટે ભીડ થવાથી યાત્રીઓને થતી પરેશાનીને ધ્યાને લેતાં
રેલવે વિભાગે પ્રાયોગિક ધોરણે આ યોજના અમલમાં મૂકવાનો ફેંસલો લીધો હતો. ઘરે જવા અને
પાછા ફરવાની ટિકિટ એકસાથે બૂક કરાવવી પડશે. ટિકિટ કન્ફર્મ, આરએસી અને પ્રતીક્ષાયાદી (વેઈટિંગ લિસ્ટ)માં
પણ છૂટ મળશે. આ યોજના માત્ર લાંબા અંતરની મેલ, એક્સપ્રેસ ટ્રેનો
પર લાગુ થશે. આ છૂટ ટિકિટની મૂળ કિંમત પર મળશે, વેરા અને સર્વિસ
ચાર્જ પર નહીં. દિવાળી જેવા તહેવારો પછી લાખો યાત્રી પોતાનાં ઘરોથી કામનાં સ્થળોએ પાછા
ફરે છે, ત્યારે ભીડ અને એડવાન્સ બૂકિંગમાં ધસારાનાં કારણે ટિકિટ
મળી શકતી નથી. રિટર્ન ટિકિટ કરાવનાર માટે 20 ટકા ડિસ્કાઉન્ટની યોજનાથી યાત્રીઓને સસ્તી સફરની સુવિધા મળશે.
સાથોસાથ રેલવેની મહેસૂલી આવક પણ વધશે. ટિકિટ બૂકિંગ કરાવતી વખતે આવવા તેમજ જવાની બન્ને
ટિકિટમાં યાત્રીનાં નામ, ઉંમર,
અંતર, સ્થળો અને ક્લાસ (સ્લિપર, થર્ડ એસી, સેકન્ડ એસી) સહિત વિગતો એકસમાન હોવી જોઈએ.