ભુજ, તા. 10 : વાડાસરની ખેતીની જમીન વેચાણ
લેવાનો સોદો કર્યા બાદ સૂથી પેટે રૂા. 5.51 લાખ મેળવી તેમજ તેઓના કહ્યા પ્રમાણે ફરિયાદના 28 લાખનાં મકાનનો દસ્તાવેજ કરી
આપ્યા બાદ જમીનનો દસ્તાવેજ ન કરી આપી કે નાણાં પણ પરત ન આપતાં ફરિયાદીએ બે વિરુદ્ધ
છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન એક વચેટિયા આરોપીને એલસીબીએ ઝડપી લીધો છે.
આ અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે અગાઉ અરજી
કર્યા બાદ તે અરજીના અનુસંધાને ગઇકાલે માધાપરના કલાપૂર્ણમ નગરમાં રહેતા દીપકભાઇ ઇન્દ્રવદન
જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એકાદ વર્ષ પૂર્વે તેમણે તથા તેમના વેવાઇને જમીનમાં રોકાણ કરવાનું હોવાથી ફરિયાદી ગની લતીફ
બાફણ (રહે. ડાકડાઇ)ને મળ્યા હતા અને તેમની પાસેની જમીનો બતાવી હતી, જેમાં
વાડાસરની જમીન પસંદ પડતાં તા. 8/9/24ના દામજીભાઇ હીરજીભાઇ પટેલ (રહે. મિરજાપર, ગાયત્રી રેસિડેન્સી)માં તેમની ઓફિસે બધા મળ્યા
હતા. આશરે છ એકર જેટલી જમીન દામજીભાઇના પત્ની
શાંતાબેનનાં નામે હોવાનું દામજીભાઇએ
જણાવી આ જમીન રૂા. 46 લાખમાં વેચવાની
વાત કરી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, તેમનું એક મોટું મકાન ગોકુલધામ-1માં છે જેની કિં. રૂા. 31,50,000 થાય છે. આ મકાન વેચાઇ જાય ત્યારબાદ આપણે જમીનનો સોદો કરશું.
આ બાદ ગનીભાઇ અને દામજીભાઇએ અંદરોઅંદર વાતચીત
કરી જણાવ્યું કે, તમારું મકાન
રૂા. 28 લાખમાં જમીનની રકમમાં જમા કરાવી
લઇશું અને બાકી રહેતી રકમ પૈકીના રોકડા રૂા. 5.51 લાખ સૂથી પેટે અને બીજા રૂપિયા ખેતીની જમીનના દસ્તાવેજ કરીશું
ત્યારે આપજો. આમ તેઓના કહ્યા પ્રમાણે સૂથીના રૂપિયા આપી સાટાકરાર કરી લીધા હતા. આ બાદ
ગનીભાઇ માર્ચ 2025માં મકાનનો ગ્રાહક લઇ આવતાં
ગનીભાઇના કહેવા પ્રમાણે ગોકુલધામ-1ના મકાનનો દસ્તાવેજ સૂરજસિંઘનાં નામે ફરિયાદીએ કરી આપ્યો હતો. આ બાદ દામજીભાઇનો સંપર્ક કરી મકાનનો
દસ્તાવેજ સૂરજસિંઘનાં નામે કરવા કહેતાં તેમણે જણાવ્યું કે, તમે કોને પૂછીને મકાનનો દસ્તાવેજ કરાવ્યો,
મને કોઇ વાતની ખબર નથી. હું ખેતીની જમીનનો દસ્તાવેજ નહીં કરી આપું. આ
બાદ ગનીભાઇનો સંપર્ક કરતાં તેમણે જમીનના દસ્તાવેજ કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
બાદમાં તેમણે કહ્યું કે, મકાનના રૂપિયા 20 લાખ અને 11 લાખ બે ચેક તેમનાં નામના આપ્યા
હતા. એ ચેક ત્રણ વાર નાખવા છતાં પરત ફર્યા હતા. અંતે ગનીભાઇએ પોતાનો ફોન સ્વીચઓફ કરી
દીધો હતો. આમ ફરિયાદી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી થતાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છે. બીજી તરફ આ કામના નાસતા-ફરતા આરોપી ગની લતીફભાઇ બાફણ (રહે. ડાકડાઇ)ને બાતમીના આધારે મિરજાપરથી એલસીબીની ટીમે ઝડપી ગુનાની સમજ આપતાં
કબૂલાત કરી હતી. ગનીને એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.