નવી દિલ્હી, તા. 7 : રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન ચાલુ વર્ષનાં અંતિમ અઠવાડિયામાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જાણકારી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આપી હતી. ડોભાલે પુતિન સાથે પણ મુલાકાત
કરી હતી. બંને દેશ વચ્ચે ઊર્જા, સુરક્ષા, રણનીતિક ભાગીદારી
મજબૂત કરવા પર ચર્ચા થઇ હતી. અગાઉ ડોભાલે રૂસી સંરક્ષણમંત્રી સર્ગેઈ સોઈગુ સાથે મુલાકાતમાં
કહ્યું હતું કે, હવે બે દેશના સંબંધ ઘણા સારા થઈ ગયા છે,
જેની અમે કદર કરીએ છીએ. ઓપરેશન સિંદૂર બાદ ડોભાલની આ પહેલી રશિયા યાત્રા
છે. પુતિન આવશે, તો યુક્રેન યુદ્ધ બાદ આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ તરફથી રશિયા સાથે ભારતના સંબંધો પર આકરી ટિપ્પણીઓ ધ્યાને લેતા પુતિનની ભારતયાત્રા
ઘણી મહત્ત્વની મનાઈ રહી છે. છેલ્લીવાર રશિયાના રાષ્ટ્રપતિ છઠ્ઠી ડિસેમ્બર, 2021ના ભારત આવ્યા હતા. ત્યારે
માત્ર ચાર કલાક માટે રોકાણ કર્યું હતું. તે દરમ્યાન ભારત અને રશિયા વચ્ચે 28 સમજૂતી કરાર થયા હતા.બંને દેશે
2025 સુધી 30 અબજ ડોલર એટલે કે બે લાખ 53 હજાર કરોડ રૂપિયાના વાર્ષિક
વેપારનું લક્ષ્ય રાખ્યું હતું. વર્ષાંતે પુતિનના પ્રવાસથી બંને દેશ વચ્ચે 2030નાં વર્ષ સુધીનો આર્થિક રોડ
મેપ રચાય, તેવી ધારણા સેવાઈ રહી છે.