તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશમાં ગેન્ગસ્ટર
કાયદા હેઠળ થયેલી કાર્યવાહી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે
તપાસ એજન્સીઓનું કામ નિષ્પક્ષ તપાસ કરવાનું છે,
આરોપીઓ નિર્દોષ છે કે દોષી, એ જોવાનું કામ અદાલતોનું
છે. આમ તો 1986થી ગેન્ગસ્ટર
એક્ટ ઉત્તરપ્રદેશમાં અમલી બન્યો છે, પણ 2021માં ઉત્તરપ્રદેશ સરકારે તેમાં ફેરફાર કરી વધુ કડક બનાવ્યો
છે. આ કાયદા હેઠળ બે કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ગેન્ગ ગણી લેવાઈ છે, પણ હવે સુપ્રીમે આ કાયદા હેઠળ નોંધાયેલી એક એફ.આઇ.આર.ને ફગાવી દેતાં આ કડક
કાયદાના અમલ સામે ચેતવણી આપી છે. ઉત્તરપ્રદેશમાં આ કડક કાયદાના દુરુપયોગ સામે અવાજ
ઉઠાવાઇ રહ્યો છે. એવો આરોપ લગાવાઇ રહ્યો છે કે આ કાયદાનો ઉપયોગ રાજકીય વિરોધીનું દમન
કરવામાં, કોઇને ઉત્પીડન કરવા કે બદનામ કરવા થઇ રહ્યો છે. પરિણામે
લોકો અદાલતનો આશરો લઇ રહ્યા છે. કોઇપણ યોગ્ય પ્રક્રિયા કે પૂરતા પુરાવા વગર લોકોની
જે રીતે ધરપકડ કરાઇ રહી છે, તે ઉપર પહેલાં પણ કોર્ટ ચિંતા જગાવી
ચૂકી છે. હકીકતે ઉત્તરપ્રદેશમાં સંગઠિત અપરાધોએ માઝા મૂકી હતી. તેને કાબૂમાં કરવા યોગી
સરકારે 2021માં કાયદો
વધુ કડક બનાવ્યો હતો, પણ તેનો ઉપયોગ પોલીસ વિવેકબુદ્ધિથી
નથી કરતી. અલબત્ત, હવે તેના આવા વર્તાવ પર અંકુશ મૂકવા દિશાનિર્દેશ
લાગુ કરાયા છે, પણ તેમ છતાં હજી અંકુશ નથી આવ્યો, એ ચિંતાની વાત છે. એટલે ગેન્ગસ્ટર એક્ટનો ઉપયોગ ધમકીરૂપે ન થવો જોઇએ એવી સુપ્રીમની
ટિપ્પણી યોગ્ય છે. તેમાં પણ જ્યારે રાજકીય ઇચ્છા જોડાય ત્યારે આ ધમકી વધુ ચિંતાજનક
બને છે. સવાલ એ છે કે કોઇ વ્યક્તિ વિરુદ્ધ સંગઠિત અપરાધનો પુરાવો નથી, તો તેના પર ગેન્ગસ્ટર એક્ટ કેમ લાગુ કરી શકાય ? તેથી
યુપી સરકારે સુપ્રીમ કોર્ટની ચેતવણીને ગંભીરતાથી લેવી જોઇએ. ગુજરાતી કહેવત મુજબ સૂકાં
ભેગું લીલું ન બળે તેનું પૂરું ધ્યાન રાખવું જોઇએ.