ભુજ, તા. 23 : ગત
તા. 20/6ના રાત્રે
રેજેન્ટા હોટેલ સામે સ્કોર્પિયોએ ટુ-વ્હીલરને અડફેટે લેતાં મૂળ ભેરૈયા હાલે ભુજ રહેતા
35 વર્ષીય યુવાન મનોજગિરિ ચમનગિરિ ગુંસાઇનું ગંભીર ઇજાનાં
પગલે કરુણ મોત નીપજ્યું હતું, જે અંગે સ્કોર્પિયોચાલક વિરુદ્ધ પોલીસ
ફરિયાદ નોંધાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે હતભાગી મનોજગિરિના ભાઇ કુલદીપગિરિએ નોંધાવેલી
ફરિયાદ મુજબ ગત તા. 20/6ના
રાત્રે 11.15 વાગ્યાના અરસામાં
તેમનો ભાઇ મનોજગિરિ તેની એક્સેસ મોપેડ નં. જી.જે. 12-એચ.સી.
9075વાળીથી રેજેન્ટા હોટેલ સામે રોડ ઓળંગીને ગણેશનગર ગોસ્વામી
કોલોની તરફ જતો હતો, ત્યારે સ્કોર્પિયો કાર નં. જી.જે.
12-એફ.ઇ. 9270વાળાના ચાલકે કાર પૂરપાટ, બેદરકારીથી ચલાવી તેના ભાઇની એક્સેસને અડફેટે લેતાં ફ્રેક્ચર સહિતની ગંભીર
ઇજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે માર્ગ અકસ્માતમાં મોત અંગે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.