ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનાં ભીષણ બનતાં યુદ્ધથી ભારતે સીધી રીતે
છેટું રાખ્યું છે, પરંતુ મધ્ય
- પૂર્વથી માંડીને યુરોપ સુધી તેની ગરમી પહોંચી ચૂકી છે, ત્યારે
કોઇ દેશ તેના પ્રભાવથી બચી શકે એમ નથી. ભારતની ચિંતા એ છે કે ખનિજ તેલના ભાવ ભડકે બળતાં
દેશનાં અર્થતંત્ર પર દબાણ વધશે. મોંઘવારી ઊંચે જશે અને આગામી તહેવારો પહેલાં બજાર અને
ગ્રાહકોનો મૂડ બગડશે. ભારત ઇરાન પાસેથી સૌથી વધુ ખનિજ તેલ અને ગેસની આયાત કરે છે. એટલું
જ નહીં, દુનિયાના જે દેશોને તેલ - ગેસની થતી નિકાસમાં 20 ટકા હિસ્સો ઇરાનનો છે. જો ક્રૂડ તેલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો વધારો
થાય તો ભારતનું આયાત બિલ 14 હજાર કરોડ વધી જશે. ઇઝરાયેલ
- ઇરાન યુદ્ધ છેડાતાં ખનિજ તેલની કિંમતમાં લગભગ સાત ટકાનો વધારો થઇ ચૂક્યો છે. તેલ
કંપનીઓ ચિંતામાં મુકાઇ છે અને ભારત જેવા વિકાસલક્ષી દેશો માટે ઉચાટ વધ્યો છે કે સંઘર્ષ
અટકશે ક્યારે ? છેલ્લાં કેટલાંક અઠવાડિયાં
દરમ્યાન ખનિજ તેલ 10 ડોલર મોંઘું
થયું છે, તેમાં ટ્રમ્પની ટેરિફ નીતિ પણ કારણભૂત છે. ખનિજ
તેલની કિંમત વધતી ચાલી તો ભારતના જીડીપી પર દોઢ ટકા સુધીની વિપરીત અસર થઇ શકે છે. ફુગાવો
હાલમાં અંકુશમાં છે, જે ઊંચો જશે અને રૂપિયાની કિંમતે ગગડશે...
આ સંજોગોમાં ભારતની વિકાસ યોજનાઓની ગતિ ધીમી પડે એવી ભીતિ સેવાય છે. ઇરાન અને ઓમાન
વચ્ચે એક સાંકડો જળમાર્ગ છે હોર્મુજ. ભારતનું લગભગ બે તૃતિયાંશ ખનિજ તેલ અને 50 ટકા કુદરતી ગેસ આ જ રસ્તે આયાત
થાય છે. ટૂંકમાં, આ વ્યવહારમાં
કોઇપણ અવરોધ કે વિઘ્ન ઊભું થતાં તેલની કિંમત, શિપિંગ ખર્ચ અને
વીમા ખર્ચ વધી જશે. અહીં એ નોંધનીય છે કે ભારતનો ઇરાન સાથેનો કારોબાર 14,246 કરોડ રૂપિયાનો અને ઇઝરાયેલ
સાથે 27,608 કરોડનો છે. 2024 - 25માં ભારતે ઇરાનને 1.24 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી અને ભારતનું ઇરાનથી આયાત બિલ
44.19 કરોડનું હતું. એવી જ રીતે, ઇઝરાયેલ પાસેથી ભારત 1.61 અબજ ડોલરના માલ - સામાનની આયાત
કરે છે, સામે 2.15 અબજ ડોલરની નિકાસ થાય છે. ઇરાન
આ જળમાર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે. આમ બન્યું તો મોટી મુસીબત થવાની.