ભુજ, તા. 23 : કેરામાં
રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ ત્રાટકીને પશ્ચિમ કચ્છ જિલ્લાનો સૌથી મોટો 1.28 કરોડનો
શરાબનો દરોડો પાડતાં આ વિસ્તારના માનકૂવા પોલીસ મથકના પીઆઇ શક્તિસિંહ રાણા અને
પીએસઆઇ એચ. એચ. બ્રહ્મભટ્ટને લીવ રિઝર્વમાં મૂકી દઇ તેના પર તપાસ આદરાઇ છે.
બીજીતરફ આ દરોડામાં ઝડપાયેલા 16 આરોપીના રિમાન્ડ તા. 26 સુધી
મંજૂર થયા છે. આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાનો સંપર્ક
કરતાં તેમણે જણાવ્યું હતું કે,
કેરાની એસએમસીના દરોડાનાં પગલે હાલ માનકૂવાના પીઆઇ એસ. એમ. રાણા અને
પીએસઆઇ એચ. એચ. બ્રહ્મભટ્ટને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે અને તેના ઉપર તપાસના
આદેશ અપાયા છે. માનકૂવા પોલીસ મથકનો ચાર્જ
ભુજ એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ. એમ. પટેલને આપવામાં આવ્યો છે. બીજીતરફ કેરામાં
શરાબના કટિંગ દરમ્યાન જ એસએમસીએ ધેંસ બોલાવી 1.28 કરોડના
શરાબના જથ્થા સાથે ત્રણ વાહન અને પાંચ મોબાઇલ સહિત 1,70,28,808ના મુદ્દામાલ સાથે વાહનચાલકો અને
મજૂરો એમ 16 આરોપીને ઝડપી લેવાયા હતા. આ કેસની તપાસ માધાપરના પીઆઇ ડી.
એમ. ઝાલાને સોંપાતાં તેઓએ આ કેસના આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ
કરતાં 26મીના બપોર સુધી તમામ રિમાન્ડ ગ્રાહ્ય રહ્યાનું જણાવ્યું હતું
અને મુખ્ય સૂત્રધાર અનોપસિંહ રાઠોડ તથા માલ મોકલનાર અને વાહનોના માલિકોને ઝડપવાની
છાનબીન થઇ રહ્યાનું જણાવ્યું હતું.