પાકિસ્તાની આતંકવાદી હુમલા અને હત્યાકાંડ પછી ભારતે પાકિસ્તાન
- તુર્કી અને બાંગલાદેશની આર્થિક - વ્યાપારી નાકાબંધી જાહેર કરી અને સર્વપક્ષી પ્રતિનિધિમંડળો
વિદેશોમાં મોકલીને પાકિસ્તાનના આતંકી ચહેરાનો પર્દાફાશ કર્યો ત્યારે આપણા સ્વદેશી વિરોધી
પક્ષોએ - રાહુલ ગાંધી, સંજય રાઉતથી
લઈને શરદ પવારે ભારતની વિદેશનીતિ અને સંરક્ષણનીતિની નિષ્ફળતાનાં ગાણાં - રોદણાં રોયાં
! પણ હવે આતંકવાદીઓને નાણાં અને સમર્થન આપનારાં પાકિસ્તાન સામે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય
સંસ્થાએ એક આંગળી નહીં પાંચે આંગળીનો `પંજો' બતાવ્યો
છે અને પહેલગામના હત્યાકાંડ બાબત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નાણાં અને સમર્થન વિના
આવા હુમલા શક્ય બને નહીં એમ જણાવીને પાકિસ્તાનને `કાળી યાદી'માં મૂકવાની ભારતની માગણીનો પ્રાથમિક સ્વીકાર
કર્યો છે. આ સંસ્થાનો અહેવાલ આવતા મહિને જાહેરમાં મુકાયા પછી આઈએમએફ (આંતરરાષ્ટ્રીય
નાણાંભંડોળ) અને વિશ્વ બેન્ક જેવી વૈશ્વિક સંસ્થાઓ પાસેથી અઢળક - સખાવતી નાણાં મળતાં
બંધ થશે અને વિદેશી મૂડીરોકાણ તથા વ્યાપાર ઉપર પણ પ્રતિબંધ આવી શકે છે. કાળાં - બિનહિસાબી
નાણાંને `સોનાંનાં
પાણી'થી નવડાવીને (મની લોન્ડરિંગ) આતંકવાદને સમૃદ્ધ
બનાવતા ગોરખધંધા વિરોધી સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની સ્થાપના
વર્ષ 1989માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર
પેરિસ ખાતે છે. આ સંસ્થાએ છેલ્લાં દસ વર્ષમાં આ માત્ર ત્રીજી વખત આતંકી હુમલાની આટલા
સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આતંકવાદી હુમલા સમગ્ર વિશ્વમાં હત્યાકાંડ કરે છે, લોકોને અપંગ બનાવે છે, ભયભીત કરે છે. પહેલગામના આતંકી હત્યાકાંડની ગંભીર નોંધ લઈને વખોડી કાઢે છે.
આ તથા આવા બીજા હુમલા, ઘટનાઓ નાણાં વગર શક્ય નથી અને તે આતંકવાદીઓના
સમર્થકો પાસેથી મળી રહે છે. ભારતમાં પહેલગામના હત્યાકાંડને સખત સજા મળ્યા વિના નહીં
રહે ! આતંકી હુમલાની તપાસ અને નાણાંના સ્રોત પકડવાનાં સાધન - માધ્યમ પણ આ સંસ્થાએ વિકસાવ્યાં
છે, જેથી પાકિસ્તાન માટે તપાસમાંથી છટકવાનું શક્ય નથી. હવે પાકિસ્તાન
કોઈને મૂર્ખ બનાવી નહીં શકે, એવી ખાતરી છે. કોઈ સરકાર દ્વારા
આવી આતંકી પ્રવૃત્તિ પકડાઈ હોય તેવો આ પ્રથમ કેસ હોવાનું જણાવાય છે ! કોઈ એક કંપની,
શાસન અથવા કોઈ દેશ આતંકવાદના પડકાર સામે લડી શકે નહીં. આપણે સૌએ એક જૂથ
બનીને લડવું જોઈએ. આતંકવાદીઓ તેનું કારનામું પૂરું થાય એટલે સફળ થાય છે, જ્યારે આવાં કારનામા નિષ્ફળ કરીએ ત્યારે આપણને સફળતા મળે છે. આ શક્તિશાળી આંતરરાષ્ટ્રીય
સંસ્થાના પ્રત્યાઘાત અને અહેવાલ પાકિસ્તાન માટે આઘાતરૂપે છે. આ સંસ્થા યુરોપમાં છે,
તેથી પાકિસ્તાનના જૂના કે નવા મિત્રદેશો તેને બચાવી નહીં શકે. અહેવાલ
રોકી નહીં શકે. દરમિયાન વડાપ્રધાન મોદીએ સાયપ્રસમાં પણ આતંકવાદ સામેની `જેહાદ'
જારી રાખી એ દુનિયાએ જોયું. અગાઉ 2022માં પણ પાકિસ્તાનને `કાળી યાદી'માં મૂકવામાં આવ્યું હતું, તે પછી પણ તેનાં કારનામા વધ્યાં છે. ભારતે સખત છતાં મર્યાદિત પગલાં લીધાં છે
અને વિશ્વના દેશોમાં માહિતી - પુરાવા આપીને પાકિસ્તાનને આતંકી અપરાધી સાબિત કર્યું
છે. આ પછી હજુ વિરોધી નેતાઓ - નિષ્ફળતાના આક્ષેપ કરે તો આતંકનો - એમનો સાથ અને હાથ
કબૂલ થશે.