• મંગળવાર, 24 જૂન, 2025

કચ્છનાં બંદરેથી બે હજાર કન્ટેનર ઈરાનની રાહમાં

કુલદીપ દવે દ્વારા

ગાંધીધામ, તા. 23 : રાતા સમુદ્રમાં સુએઝ કેનાલ  રૂટે સર્જાયેલા વિક્ષેપભરી સ્થિતિમાંથી શિપિંગ ઉદ્યોગકારો બહાર આવ્યા બાદ અમેરિકાની ટેરીફ વધારા મુદ્દે દેશના આયાત-નિકાસકારોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં હતાં. આ સ્થિતિ વચ્ચે ભારતના સારા વેપારી  ભાગીદાર ઈઝરાયલ અને ઈરાન વચ્ચે અંાતરિક યુદ્ધ ખતરનાક વળાંક પર પહોચ્યું છે. જેને કારણે ભારતના નિકાસ-આયાત ક્ષેત્ર ઉપર અસર વર્તાશે તેવો અંદેશો ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ઈરાન માટેનાં જહાજ ન આવતાં કચ્છથી  નિકાસ થતા અંદાજિત બે હજાર જેટલાં કન્ટેનરનો કાર્ગો અટવાયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. બંને દેશ વચ્ચે તણાવને લઈને સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓ મોંઘી થવાની ચિંતા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. એમાંય હવે અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવી દેતાં અનિશ્ચિતતાનો દોર લાંબો ચાલવાની ભીતિ સેવાઇ રહી છે.

હવાઈ કાર્ગોનો ફ્રેટ ઊંચકાશે

શિપિંગ ઉદ્યોગકાર પ્રશાંતભાઈ કેલાએ જણાવ્યું હતું કે, દરિયાઈ માલ પરીવહન માટે ઓશિયન ફ્રેટ ઉપરાંત હવાઈકાર્ગો માટેના ફ્રેટ વધશે. પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ ઊંચકાશે. આ દેશો ઉપરથી પસાર થતાં વિમાનના રૂટ બદલાશે. પરિણામે હવાઈ મુસાફરીના દર વધશે. ખાદ્ય સામગી નોંધપાત્ર પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે કચ્છમાં બે હજાર કરતા વધુ કન્ટેનર કાર્ગો અટકયો છે, જેમાં મોટા ભાગનાં કન્ટેનરોમાં બાસમતી ચોખા છે. ચોખાના બ્રેક બલ્ક કાર્ગોની હિલચાલ પણ અટકી પડી છે, તો બીજી બાજુ ઈઝરાયલમાં  સિરામિક સંલગ્ન કાર્ગો મોકલવામાં મુશ્કેલી ઊભી થશે. ઈઝરાયલની ડાયમંડ મર્ચન્ટની બિલ્ડિંગોને નુકસાન પહોચ્યું છે. જેથી ડાયમંડ ટેડ અસરગ્રસ્ત થશે. સ્થાનિકે જહાજોની ઉપલબ્ધતાના પ્રશ્નો ઊભા થશે. તમામ પાસાઓના કારણે આયાત-નિકાસનો ખર્ચ વધી જશે.

દરિયાઈ પરીવહન ખર્ચ સાથે વીમા પ્રીમીયમ વધશે

ગાંધીધામ ચેમ્બરના ખજાનચી અને શિપિંગ ઉદ્યોગકાર નરેન્દ્ર રામાણીએ કહ્યંy હતું કે, ઈરાન અને ઈઝરાયલ સાથે ભારતનો  નોંધપાત્ર વેપાર છે. દેશનું મોટાભાગનું ક્રુડ ઈરાનથી આવે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ પણ વધશે. દરિયાઈ પરીવહન ખર્ચની સાથોસાથ વીમાના પ્રીમીયમમાં પણ વધારો થશે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે ઊભી થતી પરિસ્થિતિના કારણે ગાંધીધામ-મુંદરાના શિપિંગ ઉદ્યોગકારો ગુંગણામણ અનુભવતા હોવાનું કહ્યંy હતું.

છ દેશના એકઝીમ કાર્ગોને અસર પડશે

ગાંધીધામમાં શિપિંગક્ષેત્ર સાથે જોડાયેલા કુશ ઠક્કરે જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર દેશ સાથે ગાંધીધામથી આયાત -નિકાસ થતી વસ્તુઓને ભારે અસર કરશે. ઈરાનમાં મોટા પ્રમાણમાં  બાસમતી ચોખા  નિકાસ કરવામાં આવે છે. તણાવજનક સ્થિતિને કારણે આ રૂટનાં જહાજો જતાં નથી. જેને કારણે સ્થાનિકે ચોખા સહિતના અનેક કાર્ગો અટકયો છે. અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાનમાં પોર્ટ નથી. આ દેશોનો કાર્ગો ઈરાન પોર્ટ  મારફતે જાય છે. આ દેશોના વેપારને પણ અસર પહોંચશે.

કંડલાથી ગયેલો બાસમતી ચોખાનો જથ્થો અટવાયો

ગાંધીમામના શિપિંગલાઈન ઓપરેટર આશિષ જોષીએ કહ્યંy હતું કે, ઈરાનનાં બંદર અબ્બાસ,ચાહબાર,બંદર ઈમામ ખૌમેની, બુસેર  સહિત ચાર પોર્ટ બંધ થયાં છે. જોખમ ભરેલી સ્થિતિના કારણે મોટાભાગના  લાઈન ઓપરેટરો આ રૂટે જહાજો મોકલવા તૈયાર નથી. કંડલાથી ગયેલા બાસમતી ચોખાનો કાર્ગો પણ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટે પડેલો છે. જેને ધીમેધીમે બહાર કાઢવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. નોંધપાત્ર છે કે, ભારતીય વેપારને અસર ઓછી પડે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. યુદ્ધ થકી કચ્છના ઔદ્યોગિક એઁકમોને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર થશે, તેવુ પણ માહિતગારોએ ઉમેર્યું હતું. લાંબા સમય સુધી આ સ્થિતિ નિર્માણ પામી, તો દેશ સહિતના ગાંધીધામ-મુંદરાના નિકાસકારોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd