• સોમવાર, 23 જૂન, 2025

વિશ્વયુદ્ધ થાય?

સંપાદકીય.. કુન્દન વ્યાસ : અમેરિકાએ ઇરાનનાં ત્રણે અણુમથક ઉપર બોમ્બમારાથી હુમલો કર્યા પછી પૂરી દુનિયામાં એક જ પ્રશ્નની ચર્ચા અને ચિંતા છે - શું હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે? અણુયુદ્ધ થશે? આ પ્રશ્નનો જવાબ ગણતરીના દિવસોમાં મળી જાશે. અમેરિકાના સંભવિત - અથવા તો - નિશ્ચિત હુમલાની શક્યતા હતી જ અને અમેરિકી નેવીના વિશાળકાય યુદ્ધજહાજો અને સબમરીનનો કાફલો ગોઠવાયો ત્યારે રાહ જોવાતી હતી કે ક્યારે? પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ મુનીરે વોશિંગ્ટન જઈને ટ્રમ્પને આશા આપી હશે કે, ઇરાનને સમજાવીશું - અથવા તો ખાતરી આપી હશે કે, ઇરાનને મદદ નહીં કરીએ! ટ્રમ્પને હવે ભાન થશે કે, પાકિસ્તાનનો ભરોસો કેટલો થાય?! ઇરાને અમેરિકાને ધમકી આપી હતી કે, દખલ કરશો તો અમે જવાબ આપીશું. રશિયાએ પણ ચીનને સાથે રાખીને અમેરિકાને ચેતવણી આપી હતી. હવે રશિયા ઝૂકાવશે? જોખમ ખેડશે? ચીન ઉતાવળમાં આંધળુકિયા કરે નહીં. યુરોપની અણુસત્તાઓ ડિપ્લોમસી - વાતચીત અને વાટાઘાટની તરફેણ કરે છે. ભારત - વડાપ્રધાન મોદીએ પણ ઇરાનને કોઈ પગલાં ઉતાવળથી નહીં લેવાની અને વાટાઘાટની સલાહ આપી છે, પણ ઇરાન કહે છે અમારા અણુ કાર્યક્રમની ચર્ચા નહીં થાય! હકીકત એ છે કે, ઇરાન અણુસત્તા બનવા માગે છે અને તેના નિશાન ઉપર ઇઝરાયલ છે. ઇઝરાયલ માટે અસ્તિત્વનો સવાલ છે, તેથી ઇરાનનાં અણુમથકો ખતમ કરવા માગે છે. ઇરાનને ખાતરી હતી કે, લડાઈ લાંબી ચાલશે એટલે જ ભારતીય વિદ્યાર્થીઓ અને વસાહતીઓને હેમ-ખેમ ભારત પહોંચાડવા માટે ઓપરેશન સિંધુ માટે સહકાર આપ્યો. ઇઝરાયલ પણ ભારતની દોસ્તી નભાવે છે. અમેરિકાના નેવી કાફલાની વાતમાં યાદ આવે છે બાંગલાદેશ લડાઈ વખતે પાકિસ્તાનના 90 હજાર સૈનિકે જાન બચાવવા ભારતની શરણાગતિ કરી હતી - ત્યારે અમેરિકાના પ્રમુખ નિક્સને એમની નેવીના સાતમા કાફલાનું યુદ્ધજહાજ - એન્ટરપ્રાઇસ મોકલ્યું હતું - પાકિસ્તાનની વહારે પણ આપણી ડેલીએ હાથ દીધા વિના વીલા મોઢે પાછું ફર્યું હતું! અમેરિકા પહેલેથી કહે છે કે, ઇરાનમાં 30 વર્ષથી સર્વસત્તાધીશ બનેલા આયાતુલ્લાહ અલી ખોમૈનીને સત્તાભ્રષ્ટ - દૂર કરીને અન્ય ફ્રેન્ડલી નેતાને બેસાડાય તો ઇઝરાયલ સાથે સમજૂતી થઈ શકે. ઇરાકના સરમુખત્યાર સદામ હુસૈનની હાલત કેવી થઈ તે ઇરાન અને દુનિયાએ જોયું છે. ઇરાનમાં ખોમૌનીની સલામતી માટે એમને ઊંડા ભોંયરામાં રાખવામાં આવ્યા છે અને સેનાના કમાન્ડરો સાથે વાત કરવા માટે વચમાં અન્ય વ્યક્તિને રાખી છે, જેથી મોબાઇલ અથવા અન્ય સંદેશા પકડીને એમના ઉપર હુમલો થાય નહીં. આયાતુલ્લાહે પણ જો એમની હત્યા થાય તો ત્રણ સિનિયર મુલ્લાઓની પસંદગી કરીને એમને સત્તા સોંપવાનું `વીલ' બનાવ્યું છે! અર્થાત આદેશ આપ્યા છે. ફિરહાલ તો એમણે ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલા વધાર્યા છે - હવે અમેરિકાના એક પણ માણસને અમે ક્યાંય પણ છોડશું નહીં એવી ધમકી આપી છે. આમ છતાં ઇઝરાયલ ઉપર ખુન્નસ ઉતારશે. અમેરિકાએ બોમ્બથી મથકો ઉડાવ્યાં છે, પણ નાગરિકો ઉપર હુમલા કર્યા નથી. અણુશક્તિનો વિનાશ અર્થે પ્રસાર થાય નહીં તેની ચિંતા છે - એવો બચાવ કરી શકે છે, પણ ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાના દાવા સહિત વિશ્વમાં પાંચ સ્થળે યુદ્ધ અટકાવ્યા હોવાથી શાંતિ માટેનો નોબલ એવોર્ડ મળવાની આશા - અભરખો હતો તે પંપાળીને પરપોટો મોટો કર્યો હતો - હવે ટ્રમ્પ કહે છે ન મળે તો કાંઈ નહીં. હવે અમેરિકાએ ઇઝરાયલના બચાવ માટે પગલાં ભરવાં પડશે. અમેરિકી નૌકાદળના કાફલા ઉપર યમનના હૂતી બળવાખોરોએ હુમલા કરવાની ધમકી આપી છે - આ સિવાય ઇસ્લામી દેશો શાંતિની અપીલ કરી રહ્યા છે, તેથી અચાનક - ઇરાનના નામે વિશ્વયુદ્ધ શરૂ નહીં થાય એવી આશા રાખીએ, પણ આ સાથે પાકિસ્તાન પરિસ્થિતિનો અને ટ્રમ્પની મહેરબાનીનો લાભ ઉઠાવીને ભારત સામે દુ:સાહસ નહીં કરે એવી આશા ભલે હોય - ભરોસો થાય નહીં. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર આક્રમણ કરીને તેનાં અણુસંશોધન મથકો ઉડાવી દેવાનો આદેશ બે સપ્તાહ માટે મુલતવી રાખ્યો હતો, પરંતુ બે દિવસમાં જ હુમલો કરીને ઇરાનનાં અણુસંશોધન મથકો નષ્ટ કર્યાં છે. ટ્રમ્પને આશા હતી કે, પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર ઈરાન ઉપર દબાણ લાવીને અમેરિકા સાથે સમાધાન કરવા સમજાવી શકશે. જો કે, ઈરાન દબાણને વશ થવા તૈયાર નથી. રશિયા-ચીન કે અમેરિકા કોઈ પણ સાથે વાટાઘાટ થાય તેમાં અણુમથકોની ચર્ચા થશે નહીં એમ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકાની ગણતરી અને વ્યૂહ અણુમથકો ખતમ કરવા અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખોમૈનીને પદભ્રષ્ટ - અથવા તો ખતમ કરવાનો છે - જે આસાન નથી. ઈરાન હવે કેટલી ઝીંક ઝીલે છે, તેના ઉપર ઘણો આધાર છે. હવે અમેરિકાની પ્રતિષ્ઠા - જગત જમાદારની - પણ દાવ ઉપર છે! ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવાનો શોખ છે તો સફળ થશે ? ટ્રમ્પે ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં ઝંપલાવ્યા પછી અમેરિકા એમાંથી કેમ અને કેવી હાલતમાં બહાર આવશે ? ઇઝરાયલ ધારે ત્યારે ઇરાન ઉપરના હુમલા રોકી શકે, પરંતુ અમેરિકાની મજબૂરી એ છે કે, ઇરાનનો પરમાણુ કાર્યક્રમ અને શાસકોને ખતમ કર્યા વગર યુદ્ધ ખતમ નહીં કરી શકે. આ સમસ્યાનો કાયમી અંત આવશે કે ઇરાનની પરમાણુ હથિયારની લાલસા વધુ ભડકશે ? ઇરાનના પરમાણુ કાર્યક્રમના મૂળમાં ઘા કરવાનું અને નેતૃત્વ બદલાવનું અમેરિકા માટે આસાન નથી. વિશેષજ્ઞો અને વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ઇરાને પોતાના પરમાણુ સંશોધનો પહાડોની નીચે છુપાવ્યા છે અને હવે ત્યાં સુધી અમેરિકાના બોમ્બ (બંકર બ્લાસ્ટર) અને આધુનિક અસ્ત્ર-શસ્ત્ર પહોંચી ગયાં છે અને નુકસાન પણ કર્યું છે.  અમેરિકા ઇઝરાયલની પૂરેપૂરી મદદ તો કરે જ છે. છેલ્લા ત્રણ દાયકાથી ઇઝરાયલ ગાઝા ઉપર બોમ્બવર્ષા કરી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે લેબનોન અને સીરિયાને પણ શસ્ત્રોથી ઠમઠોરી રહ્યું છે. આટલાં શસ્ત્રો ઇઝરાયલ પાસે ક્યાંથી આવે છેઇરાનના હાઇપરસોનિક મિસાઇલોના હુમલાથી વધુ નુકસાન ઇઝરાયલને થાય છે. ઇઝરાયલ એક નાનો દેશ છે અને મોટા ભાગની વસ્તી પાંચ શહેરમાં વસે છે. સામે ઇરાન વિશાળ દેશ છે અને વસ્તી ફેલાયેલી છે, ઉપરાંત મોટા ભાગનો પ્રદેશ પર્વતોથી આચ્છાદિત છે. ઇઝરાયલ ઇરાનનાં તમામ શહેરો સુધી હુમલા કરી શકે એમ નથી. જો ઇરાન હુમલા તેજ કરે અને ઇઝરાયલ બરબાદ થાય, તો અમેરિકાની નામોશી વધુ થાય એને અટકાવવા અમેરિકાએ આ એક્શન લીધું છે. હુમલા બાદ મધ્ય-પૂર્વમાં અમેરિકા માટે જોખમ વધશે. જો કે, ઇઝરાયલની બરબાદી દુનિયા સામે આવે, તો અમેરિકા ઇઝરાયલને ન બચાવી શક્યું એવું સાબિત થાય એટલે ઇઝરાયલને બચાવવા અમેરિકાએ જંગમાં ઝંપલાવ્યું છે, પરંતુ એની દૂરગામી અસર ખાડી દેશોમાં તૈનાત અમેરિકાના સૈનિકોની સુરક્ષા પર પડશે. જો યુદ્ધ લાંબું ચાલે અને અનિર્ણીત રહે તો ગલ્ફમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર મોટું જોખમ છે.  ચીન અને રશિયાની બાજનજર પણ આ યુદ્ધ પર છે અને એમાંથી કોઇ આ યુદ્ધ રોકાવે એ પણ અમેરિકાને મંજૂર નથી. કેમ કે, એનાથી તો અમેરિકાની રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઇ જાય.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd