ઈસ્લામાબાદ,તા.23 (પીટીઆઈ):
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ થવાથી પાકિસ્તાન હવે રઘવાયું બન્યું
છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ ક્યારેય પુન:સ્થાપિત થશે નહીં એમ કહી દેતાં
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરી ભારતને યુદ્ધની ધમકી આપી છે. સોમવારે તેમણે કહ્યું કે
ભારતે કાં તો વાજબી રીતે પાણી વહેંચવું જોઈએ નહીં તો પાકિસ્તાન સિંધુ નદી
પ્રણાલીની તમામ છ નદીઓમાંથી પાણી લેશે. અમિત શાહના સિંધુ સંધિ અંગેના નિવેદન
બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેમના
નિવેદનની ટીકા કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું. આ પછી, પાકિસ્તાનની સંસદમાં
બોલતાં, બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે ભારત પાસે બે વિકલ્પો
છે - કાં તો તે અમારી સાથે ન્યાયિક રીતે પાણી વહેંચે અથવા અમે બધી છ નદીઓમાંથી પાણી લઈશું. બિલાવલે
વધુમાં કહ્યું, સિંધુ પર હુમલો અને ભારતનો દાવો કે સિંધુ જળ
સંધિ સમાપ્ત થઈ ગઈ છે તે ગેરકાયદેસર છે. સૌ પ્રથમ તો સિંધુ જળ સંધિ સ્થગિત થઈ નથી,
પાકિસ્તાન અને ભારત બંને તેનું પાલન કરવા બંધાયેલા છે અને સંયુક્ત
રાષ્ટ્ર ચાર્ટર અનુસાર પાણી રોકવાની ધમકી ગેરકાનૂની છે. તાજેતરના યુદ્ધમાં ભારત
સામે હારેલા પાકિસ્તાનના બિલાવલે પોકળ ધમકી આપી અને કહ્યું કે જો ભારત પોતાની ધમકી
પર આગળ વધશે તો પાકિસ્તાન ફરીથી યુદ્ધમાં જશે.