માંડવી, તા. 3 : માંડવી -મસ્કાના સીમાડામાં
કાયદેસરના મુખ્ય પાણીના વહેણ પર બિનખેતી થયેલાં કામોના ડેવલોપર્સ દ્વારા અનેક જગ્યાએ
પાણીના વહેણ બંધ કરી દેવાયા હોવાથી ખેડૂતો દ્વારા દબાણો હટાવવા મામલતદાર સમક્ષ આવેદનપત્ર
આપી રજૂઆત કરાઇ હતી. શિવનગર, સ્વામિનારાયણ
મંદિરની ગૌશાળા, જૈન આશ્રમ, પરસોત્તમ પાર્ક
આગળ વાડીઓમાં અનેક જગ્યાએ પાણીના ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ખેડૂત અગ્રણી કરશનભાઇ
પટેલે જણાવ્યું હતું કે, અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી
કરાઇ નથી. ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હોવાનું તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ,
સ્થાનિકોને પડતી મુશ્કેલી અંગે મામલતદારને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી
રજૂઆત કરાઇ હતી. પાણીના વહેણ ખુલ્લા કરવા માંગ કરાઇ હતી. જો ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા
માર્ગે જવાની ચીમકી અપાઇ હતી.