નવી દિલ્હી, તા. 26 (પીટીઆઈ)
: ટેરિફ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હઠાગ્રહ કાયમ છે. અમેરિકી વહીવટીતંત્રે
ભારતીય ઉત્પાદનો પર દંડ તરીકે વધારાના 25 ટકા ટેરિફની અમલવારીનું જાહેરનામું બહાર પાડયું હતું અને બુધવારે
અમેરિકાના સમય મુજબ રાત્રે 12:01 વાગ્યાથી
તે લાગુ થશે. આમ હવે ભારતીય સામાન પરનો કુલ ટેરિફ 50 ટકાએ પહોંચી ગયો છે, જેનાથી અમેરિકામાં થતી 4800 કરોડથી વધુની ભારતીય નિકાસને અસર થશે. આ ઘટનાક્રમથી ભારતીય બજારોમાં
ઉચાટ જોવા મળ્યો હતો. બીજી તરફ
આ પરિસ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને
ટેરિફ મોરચે લડવા ગહન મંથન શરૂ કર્યું હતું અને સરકાર કોઈ મોટી જાહેરાત કરે તેવી પણ
શક્યતા છે. જે ક્ષેત્રો ઉચ્ચ યુએસ આયાત જકાતનો ભોગ બનશે, તેમાં કાપડ, કપડાં,
રત્નો અને ઝવેરાત, ઝીંગા, ચામડું અને ફૂટવેર, પ્રાણી ઉત્પાદનો, રસાયણો અને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરીનો સમાવેશ થાય છે, જ્યારે ફાર્મા, ઊર્જા ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક માલ
જેવા ક્ષેત્રો આ વ્યાપક જકાતથી બહાર રખાયા છે. યુએસ ડ્રાફ્ટ ઓર્ડરમાં વધુમાં જણાવાયું
છે કે, જો ભારતીય ઉત્પાદનો 27 ઓગસ્ટના 12:01 વાગ્યા પહેલાં જહાજ પર લોડ કરવામાં આવ્યા હોય અને પરિવહનમાં
હોય, તો તેમને નવા 50 ટકા ટેરિફમાંથી મુક્તિ અપાશે.
જો કે, તેમને 17 સપ્ટેમ્બરના 12:01 વાગ્યા પહેલાં દેશમાં ઉપયોગ
માટે મંજૂરી આપવામાં આવે અથવા વપરાશ માટે વેરહાઉસમાંથી બહાર કાઢવામાં આવે અને આયાતકાર
ખાસ કોડ જાહેર કરીને યુએસ કસ્ટમ્સને આ પ્રમાણિત કરે તે જરૂરી છે. વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, ટેરિફથી પ્રભાવિત નિકાસકારોને નાણાકીય સહાય
મળશે અને તેમને ચીન, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વ જેવા વૈકલ્પિક
બજારોમાં વૈવિધ્યીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઇકોનોમિક થિંક ટેન્ક ગ્લોબલ
ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)ના એક અહેવાલ મુજબ, યુએસ ટેરિફ
ભારતની યુએસમાં થતી અંદાજિત આઠ હજાર કરોડની નિકાસના 66 ટકાને અસર કરશે.આ સ્થિતિમાં, ભારતના આર્થિક વિકાસને જાળવી રાખવા માટે વધુ
સારી રણનીતિની જરૂર છે. આ સાથે, રોજગાર અને ઔદ્યોગિક સ્પર્ધા
પરની અસરને પણ નિયંત્રિત કરવી ઉલ્લેખનીય છે
કે, અમેરિકી પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ બાદ હવે
ભારતીય સામાન ઉપર અમેરિકા કુલ 50 ટકા વેરો વસૂલશે. જે બ્રાઝિલ જેટલો અને એશિયાનાં અન્ય દેશોની
તુલનામાં વધુ છે.