અંજાર, તા. 2 : અંજાર તાલુકાના પશુપાલકોની
સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. તાલુકામાં પાંચ
નવાં પશુ દવાખાનાં મંજૂર કરવામાં આવ્યાં છે, આ અંગેની જાણ સરકારના પશુપાલન નિયામક, અંજારના ધારાસભ્ય
અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને
પત્ર પાઠવીને કરવામાં આવી હતી. અંજાર તાલુકાનાં વરસામેડી, ટપ્પર,
માથક, મીંદિયાળા, ભલોટમાં
નવાં પશુ દવાખાનાઓ મંજૂર કરાયાં છે. અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉચ્ચ અને
ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની સક્રિય રજૂઆતનાં
પગલે રાજ્ય સરકારે આ પશુપાલનલક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે,
રાજ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન
અને ગૌસંવર્ધન વિભાગને આ ગામોમાં પશુ દવાખાનાની જરૂરિયાત અંગે લેખિત દરખાસ્ત કરવામાં
આવી હતી. તેમની સતત મહેનત અને રજૂઆતનાં પરિણામે આ પાંચ ગામનાં પશુઓને નજીકમાં જ સારવાર
મળી રહે તે માટે આ રાજ્ય સરકાર દ્વારા પશુ કલ્યાણલક્ષી યોજના અંતર્ગત મંજૂર કરવામાં
આવી છે. નવા પશુ દવાખાના મંજૂર થતા પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી
રહી હતી. પશુઓની સુખાકારી માટે લેવાયેલા આ નિર્ણય બદલ પશુપાલકો અને ગ્રામજનો દ્વારા
મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્યમંત્રીએ અંજાર તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં પશુ દવાખાનાઓ મંજૂર થવાથી પશુપાલકોને દૂરનાં સ્થળોએ સારવાર માટે જવામાંથી
મુક્તિ મળશે અને પશુઓનાં આરોગ્યની જાળવણી વધુ સરળ બનશે, તેમજ
પશુપાલકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા લોકો કલ્યાણની સાથે
અબોલ જીવોના કલ્યાણ માટે પણ ચિંતા સેવીને કાર્ય કરવામાં આવી રહ્યાં છે. તેમ જણાવ્યું
હતું.