નવી દિલ્હી, તા. 2 : ઉત્તરપ્રદેશનાં
ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને 2025ના દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ પુરસ્કારથી સન્માનિત
કરવાની ઘોષણા કરાઈ હતી. સિનેજગતના આ પ્રતિષ્ઠિત પુરસ્કારના સમાચાર ફેલાતાં રવિના ચાહકોમાં
ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં પ્રશંસકો વધામણી આપવા અભિનેતાનાં ઘરે પહોંચી
ગયા હતા. ગોરખપુરથી બેવાર સાંસદ રવિ કિશન અત્યારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક
તરીકે વ્યસ્ત છે. તેમને ફિલ્મ ફેર એવોર્ડ અપાયો
ત્યારે કહ્યું હતું કે, આ મારી 35 વર્ષની તપસ્યાનું ફળ છે. ભોજપુરી
ફિલ્મોમાં કામ કરવાની સાથોસાથ બોલીવૂડમાં પણ ભાગ્ય અજમાવવા મુંબઈ પહોંચી ગયેલા રવિને
ઘણાં વર્ષના સંઘર્ષ અને મહેનત બાદ કામ મળવા માંડયું. રવિ કિશને અત્યાર સુધી વિવિધ ભાષાની
લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
છે, જે ભોજપુરી સિનેમા માટે એક વિક્રમ છે. દાદાસાહેબ
ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ પુરસ્કારથી નવાજેશના એલાન બાદ રવિએ કહ્યું હતું કે,
આ સન્માન મારા માતા-પિતાના આશીર્વાદ, ગુરુ ગોરખનાથ
દાદાના આશીર્વાદ તેમજ ચાહકોના પ્રેમથી મળ્યું છે. સાંસદ રવિ કિશને રાજકીય ક્ષેત્રમાં
સતત પથદર્શન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ
આભાર માન્યો હતો.