ભુજ, તા. 21 : કચ્છમાં જેઠ માસમાં જ વરસાદે
શુકનવંતી પધરામણી કર્યા બાદ છેલ્લા ચારેક દિવસથી વરસાદનો વિરામનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે આવતીકાલથી
કચ્છમાં વરસાદી ગતિવિધિ વધે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. હવામાન વિભાગે જારી
કરેલા સાત દિવસના વર્તારામાં રવિવાર તા. 22ના ભારે વરસાદનું ઓરેન્જ અને સોમવારે યલો એલર્ટ જારી કર્યું
છે, તો બાકીના દિવસોમાં જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં હળવો-મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના દેખાડવામાં
આવી છે. છેલ્લા ચાર દિવસથી વરસાદના વિરામ વચ્ચે
ધૂપછાંવના માહોલમાં સરેરાશ 15થી 20 કિ.મી.ની
ઝડપે ફૂંકાતા પવનના કારણે ધૂંધળો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભુજ સહિતનાં સ્થળે જમીન ભીંજાય તેટલા છાંટા વરસ્યા હતા. મહત્તમ
પારો જિલ્લાના ચારેય મથકોમાં 33થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયો પણ ભેજના વધુ પ્રમાણના લીધે વાતાવરણમાં
બફારો જળવાયેલો રહ્યો હતો. આવતીકાલથી આર્દ્રા
નક્ષત્ર પણ શરૂ થઇ રહ્યું છે, ત્યારે ચોમાસું જમાવટ કરે તેવા સાનુકૂળ એંધાણ પણ જોવા મળી
રહ્યાં છે. રવિવારે (આજે) ચોમાસાના શુકનવંતા `આર્દ્રા'
નક્ષત્રના પ્રારંભ પૂર્વે સર્જાયેલ વરસાદી વાતાવરણથી આર્દ્રામાં વરસાદ
થવાની આશા જાગી છે. ચોમાસાની મોસમના પ્રથમ અને શુકનવંતા આર્દ્રા નક્ષત્રનો રવિવારે
પ્રારંભ થવાના પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રની વિદાયના દિવસે નખત્રાણા તા. ના સમગ્ર માકપટમાં
અમી છાંટણાથી ઝરમર વરસાદથી જમીન ભીંજાઈ હતી.