• શુક્રવાર, 06 જૂન, 2025

કચ્છનાં છેવાડાનાં ગામડાં સુધી નર્મદાનાં નીર પહોંચાડવા નાબાર્ડે રૂા. 2006 કરોડ મંજૂર કર્યા

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાનાં અંતરિયાળ ગામડાંના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરનાં ગામડાંના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી તેના માટે નાબાર્ડે રૂા. 2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે. કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે અને તેના મોટાભાગના ભાગોમાં અત્યાર સુધી સિંચાઈનાં પાણીની અછત રહી છે. ટપ્પર ડેમથી જિલ્લાના વિવિધ ગામડાંઓ સુધી પાઈપલાઈન નાખવાની આ યોજનાથી 127 ગામડાંના લગભગ 2 લાખ લોકો લાભાન્વિત થશે અને 1.57 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2023-24માં અમલમાં મુકાયેલા પ્રથમ તબક્કામાં નાબાર્ડે 3235 કરોડનું ઋણ મંજૂર કર્યું હતું. હવે બીજા તબક્કા હેઠળ 2006 કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. આ રિયાયતી દરે અપાતું ઋણ ગ્રામીણ આધારભૂત રચના વિકાસનિધિ (આરઆઈડીએફ) હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં પાઈપલાઈન મકનપર ગામ સ્થિત મુખ્ય સ્ટેશનથી નરા રિઝર્વોઇર સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત મુખ્ય પાંપિંગ સ્ટેશનથી સાનધ્રો રિઝર્વોઇર સુધી (દક્ષિણ લિંક કેનાલ) નાખવામાં આવી રહી છે.  ઉત્તર અને દક્ષિણ લિંક કેનાલો દ્વારા પાણીની ઉપલબ્ધતાથી કચ્છનાં દૂરનાં ગામડાંઓના ખેડૂતો એકથી વધારે પાકોનું વાવેતર કરી શકશે. ગ્રામીણ આધારભૂત રચના વિકાસનિધિ (આરઆઈડીએફ)એ ભારત સરકાર દ્વારા નાબાર્ડમાં સ્થાપિત ફંડ, જે ગ્રામીણ વિસ્તારની પાયાની સુવિધાઓ માટે સહાય પૂરી પાડે છે. 1995-96માં સ્થાપિત આ ફંડ દ્વારા નાબાર્ડે ગુજરાત સરકારને અત્યાર સુધી 63,477 પ્રોજેક્ટ માટે 45,957 કરોડનું ઋણ-સહાય મંજૂર કર્યું છે. તેમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના (સૌની), સૂર્યશક્તિ ખેડૂત યોજના, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અને કચ્છ શાખા કેનાલ યોજના મુખ્ય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd