• શનિવાર, 07 જૂન, 2025

કમલ હાસનને બોધપાઠ

આજકાલ કોઈ પણ વિષયે વિવાદ જગાવે તેવા વિધાન કરીને લોકપ્રિયતા હાંસલ કરવા કે વધારવાનું ચલણ દિવસાદિવસ બેકાબૂ બની રહ્યંy છે. આવાં ચલણને જ્યારે દેશની કોઈ જણાતી હસ્તી અનુસરે ત્યારે તેની સમાજ પર અસર પડતી હોય છે.  તામિલ સુપરસ્ટાર કમલ હાસને કન્નડ ભાષા અંગે કરેલા વિધાનો તથ્યથી પર અને બેદરકારીભર્યા છે. તેમને કર્ણાટકની વડી અદાલતે વાસ્તવિકતાનું ભાન કરાવીને તેમની જેમ નિવેદનો કરનારાને પાઠ ભણાવવા સમાન વલણ લીધું છે. કન્નડ ભાષાની ઉત્પત્તિ તામિલમાંથી થઈ હોવાનું વિધાન કરીને કમલ હાસને વિવાદનો વંટોળ જગાવ્યો છે. તામિલભાષા 3000 વર્ષ જૂની છે અને કન્નડ 200 વર્ષ જૂની.  આના આધારે કમલ હાસને આ નિવદેન કર્યું હોવાનું કહેવાય છે, પણ તેનો કોઈ ઐતિહાસિક કે ભાષાકીય પુરાવો નથી કે, કન્નડની ઉત્પત્તિ તામિલમાંથી થઈ છે.  કર્ણાટકની વડી અદાલત પાસે આખો મામલો પહોંચતાં કોર્ટે કમલ હાસનને તમે ઈતિહાસકાર કે ભાષાશાત્રી છો એવો સવાલ કર્યો હતો.  અદાલતે એમ પણ સ્પષ્ટ રીતે કહ્યંy કે, ભલે તમે કમલ હાસન હો પણ તમને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.  આપણા દેશમાં જાણીતા લોકો હેડલાઈન મેળવવાની લાહ્યમાં પાયા વગરની વાતો કરવામાં પાવરધા બની ગયા છે, તેમાં પણ રાજકીય નેતાઓ પોતે સર્વજ્ઞાની હોય તેમ કોઈ પણ વિષય પર પોતાનો મત વ્યક્ત કરીને વિવાદ છેડતા રહેતા હોય છે.   કમલ હાસન રાજનેતા અને અભિનેતા છે. તેમની ફિલ્મ ઠગ લાઈફના પ્રમોશન દરમ્યાન કમલ હાસને એમ કહી દીધું કે, કન્નડ ભાષા તામિલમાંથી જન્મી છે. સ્વાભાવિક છે કે, ભાષાના મામલે ભારે સંવેદનશીલ રહેલા દક્ષિણ ભારતમાં આવી કોઈ પણ વાત વિવાદ સર્જી શકે તેમ છે. બન્યું પણ એવું જ છે. હવે કર્ણાટકની વડી અદાલતના ન્યાયાધીશ એમ. નાગરપ્રસન્નાએ કમલ હાસનના આ વિધાન સામે નારાજગી વ્યક્ત કરીને જળ, ભૂમિ અને ભાષા દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલા છે.  તામિલ અને કન્નડ બન્ને દ્રવિડ ભાષાના પરિવારના છે.  બન્ને ભાષામાં સામ્યતા હોવા છતાં તેમનો અલગ-અલગ રીતે વિકાસ થયો છે. વડી અદાલતે કમલ હાસનને જે રીતે ચેતવણી આપી છે, તેનાથી તેમને તો બોધપાઠ લેવાની જરૂરત છે, તેની સાથોસાથ આવા નિવેદનિયા આગેવાનોને પણ હેડલાઈન મેળવવા કે વિવાદ છેડવાની પ્રકૃતિ છોડવા માટેનો સીધો સંદેશ અપાયો છે. અત્યારે સોશિયલ મીડિયામાં પણ આ દૂષણ વ્યાપક બન્યું છે, ઘણા નેતાઓ વિવાદ જગાવવા આ પ્રકારનાં નિવેદનો આપતા રહે છે અને પછી તેનું અર્થઘટન ખોટું થયું હોવાનું કહીને બચાવ પણ કરે છે. ઘણા નેતાઓઁ માફી શબ્દ પ્રયોજતા નથી અને માત્ર ખેદ વ્યક્ત કરી વિવાદને ઠારવાનો પ્રયાસ કરે છે, કમલ હાસનના બોધપાઠ પછી નેતાઓએ સમજવું પડશે કે, બોલવું એ માત્ર બોલવા ખાતર નથી હોતું, બલ્કે તેની પાછળ મોટી જવાબદારી પણ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd