નખત્રાણા, તા. 5 : તાલુકાના રસલિયા ગામે ખેત તલાવડીમાં
માટીના કાંપ ઉપાડવા ગયેલા ખેડૂતોના લોડર-ટ્રેક્ટર જપ્ત કરતા શરૂ થયેલો વિરોધ મોટું
રૂપ ધારણ કરે તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઇ ટ્રેક્ટર-લોડર મુક્ત કરતા ખેડૂત
ધરણા પ્રકરણનો અંત આવ્યો હતો. તાજેતરમાં રસલિયા
ગામે એક ખેડૂત ચોમાસાના પાકોના વાવેતર માટે જમીન ફળદ્રુપ કરવા ગામના આડબંધ તળાવડીમાંથી
કાંપ, માટી ઉપડાતા હતા. તે દરમિયાન સરકારી તંત્રના
કર્મચારીઓ દ્વારા ખેડૂત પર ખનિજ ચોરીના આક્ષેપ સાથે ખેતી કામમાં વપરાતા લોડર-ટ્રેક્ટર જપ્ત કરાયા હતા. ત્યારબાદ પંચનામામાં
ખેડૂતે ખનિજ ચોરી ન કરી હોવાની સ્પષ્ટતા થયા બાદ પણ ટ્રેક્ટર લોડર ન છોડાતા આક્રોશ
ફેલાતા જપ્ત ટ્રેક્ટર લોડર મુક્ત કરવા નાયબ કલેક્ટર એસ.એન. સુતારને લેખિત રજૂઆત કરાઇ
હતી. જિલ્લા તાલુકાના આગેવાનોની હાજરીમાં પ્રદેશ પ્રમુખ જગમાલભાઇ આર્ય, પ્રદેશમંત્રી આર. કે. પટેલની મધ્યસ્થી બાદ પ્રાંત અધિકારી સાથેની ચર્ચાથી જપ્ત
થયેલા ટ્રેક્ટર-લોડર મુક્ત કરી ખેડૂતોની માંગ સંતોષાતા સંગઠને તંત્રનો આભાર વ્યકત કર્યો
હતો. બેઠકમાં જિલ્લા પ્રમુખ કરમણભાઇ ગાગલ, જિલ્લા મંત્રી વાલજીભાઇ
લીંબાણી, ઉપપ્રમુખ ડાયાભાઇ રૂડાણી, જિલ્લા
વાલી મોહનભાઇ લીંબાણી, તાલુકા કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઇ કેશરાણી,
મહામંત્રી જગદીશભાઇ લીંબાણી, તા. ઉપપ્રમુખ પ્રદિપભાઇ
યાદવ, જયંતીભાઇ પોકાર, ખજાનચી લાલજીભાઇ
લીંબાણી, જવેરભાઇ કેશરાણી, ચંદુભાઇ હળપાણી,
મંત્રી દિપેશ રામાણી, મનોજ માનાણી, લાલજીભાઇ વાલજિયાણી, જગદીશભાઇ કેસરાણી, લખુભાઇ પટેલ, પ્રદિપભાઇ સચદે ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે
ના. કલેક્ટર કચેરી બહાર એકત્ર થયેલા ખેડૂતો પૈકીના અનેક અગ્રણી ખેડૂતોએ ગામ પાસેની ખેતતળાવડી, તળાવ,
જળાશયોમાંથી કાંપ માટી ઉપાડવા
કાયમી ધોરણે છૂટ મળવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી. બાદમાં તાલુકાના આગેવાનોની હાજરીમાં
પ્રાંત અધિકારી સાથે ચર્ચાથી જપ્ત થયેલા ટ્રેક્ટર-લોડર મુક્ત થતા ખેડૂત સંગઠને તેમનો
આભાર વ્યકત કર્યો હતો તથા ખેડૂત ધરણાનો અંત આવ્યો હતો.