• શનિવાર, 07 જૂન, 2025

ચોમાસાંના આરંભે જ પૂર્વોત્તરમાં જોખમી સ્થિતિના સંકેત

દેશમાં ચોમાસાંની મોસમ હજી સંપૂર્ણપણે બેઠી નથી, ત્યાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદે સર્જેલી ખાનાખરાબી આવનારા સમયની ગંભીર ચેતવણી સમાન બની રહી છે. આ વખતે પણ આ આપદા જળવાયુ પરિવર્તન અને માનવીય ભૂલોની દેન બની રહી છે. પર્યાવરણની જાળવણી તરફ સેવાતા દુર્લક્ષ અને માળખાકીય સુવિધાઓ તરફ ધ્યાન આપવામાં કચાશ હવે કુદરતી આફતોના જોખમને વધારી રહી છે. પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં આમ તો દર ચોમાસે ભારે વરસાદથી ઊભી થતી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, પણ આ વખતે ચોમાસાંની મોસમના આરંભે જ ભારે વરસાદે આવનારા સમયની તબાહીના જાણે સંકેત આપી દીધા હોય એવી હાલત થઈ છે. આ વખતે આસામમાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. ત્રિપુરા, મેઘાલય અને અરુણાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ભારે નુકસાનીના અહેવાલ છે.  સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે . આસામના 764 ગામ પાણીમાં ગરક થઈ ગયા છે.  ચોમાસાંની મોસમ દરમ્યાન ઉત્તર પૂર્વના રાજ્યોની આવી હાલત સામાન્ય થતી જાય છે. આ આપદા પાછળના કારણો દીવા જેમ સ્પષ્ટ છે.  અનિયંત્રિત શહેરીકરણ, જંગલોનો સોથ વળી રહ્યો છે અને ગેરકાયદે ખનિજ ખનનને લીધે કુદરતનું સમતુલન ખોરવાઈ ગયું છે.  વળી આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા પર જોઈએ એટલું ધ્યાન અપાતું નથી.  હાલત એવી થાય છે કે, ચોમાસાંમાંઆ વિસ્તારની નદીઓ પૂરથી ઘૂઘવતી હોય છે અને તેમાં ખડા કરોલા ચેકડેમ અને કાંઠાના સલામતી  પાળા ટકી શકતા નથી. પરિણામે જળપ્રલયનું જોખમ સતત તોળાતું રહે છે. નદીઓના પ્રવાહને લીધે કાંઠાના ગામોમાં પાણી ફરી વળે છે અને હજારો લોકો બેઘર બને છે . સાથોસાથ ખેતીના પાકનો પણ સોથ વળી જતો હોય છે.  આ વખતે પણ આ જોખમ વધુ એક વખત સામે આવી રહ્યં છે. આવા સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે, ચોમાસાંની મોસમ અગાઉ રાજ્ય સરકારો આગોતરી તૈયારી શા માટે કરતી નથી. જળવાયુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ જોખમને ધ્યાનમાં લઈને નીતિ અને યોજનાઓ તેયાર કરવાની જરૂરત છે. આમ નહીં થાય તો ભારે વરસાદથી મોટાપાયે તારાજી થઈ શકે તેમ છે. હવામાન વૈજ્ઞાનિકો પણ કહેતા રહ્યા છે કે, આ વિસ્તારની કુદરતી રચના ભારે નાજૂક છે.  આવામાં જળના નિકાલ માટે વ્યાપક વ્યવસ્થા માળખું ન હોવાને લીધે ભારે વરસાદમાં પાણીના પ્રવાહને જાળવવાનું અશક્ય બનતું જાય છે.  વળી એવા પણ સત્તાવાર અહેવાલ છે કે, 2000થી 2020 વચ્ચેના ગાળામાં આ વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં 33 ટકાનો વધારો નોંધાયો છે.  આવામાં કુદરતી આફતના વ્યવસ્થાપન અને હવામાનના નિષ્ણાતોએ હવે આગોતરા આયોજન પર ધ્યાન કેન્દ્રીત કરવાની તાકીદની જરૂરત છે. આ વખતે મોસમના આરંભની સ્થિતિએ આ જરૂરતને વધુ ગંભીરતા સાથે સામે આણી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd