જમ્મુ, તા. 5 : આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો
ઘટાડવામાં આવ્યો છે. આ વખતે યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગયા વખતે
આ પવિત્ર યાત્રા બાવન દિવસની હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં
પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. એક
સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સેનાનો
સમાવેશ થાય છે. સુરક્ષા માટે સીઆરપીએફ અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ 581 કંપની તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ
અને ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. સીઆરપીએફ ડીજી પોતે પહેલગામ ગયા છે અને સુરક્ષાની
સમીક્ષા કરી છે. દરેક યાત્રાળુ અને પોની સવાર માટે ડિજિટલ ઓળખકાર્ડ બનાવવામાં આવશે.
યાત્રાના કાફલામાં જામર હશે જેથી આઈઈડી વિસ્ફોટ જેવી ઘટનાઓને અટકાવી શકાય. સુરક્ષા
કર્મચારીઓ પાસે સેટેલાઈટ ફોન હશે. યાત્રીઓ અને વાહનોમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન
હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ અલગ સમર્પિત પીસીઆર વાન હશે. આમ તો દર વર્ષે
અમરનાથ યાત્રામાં દેશભરમાંથી હજારો યાત્રિકો ઊમટી પડે છે. આ વર્ષે પણ આસ્થામાં કોઇ
ઓટ આવી નથી પરંતુ પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર આદરી પાકિસ્તાનમાંના
આતંકી અડ્ડાઓ નેસ્તનાબૂદ કર્યા હતા. આવી સ્થિતિમાં અમરનાથ યાત્રિકોની સુરક્ષામાં કોઈ
ચૂક ન રહી જાય તે માટે સુરક્ષા તંત્ર સતત વિવિધ પગલાં લઈ રહ્યું છે.