નવી દિલ્હી/અમદાવાદ, તા. 5: દેશમાં કોરોનાથી
સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા વધીને પાંચ હજાર નજીક પહોંચી ગઈ છે. કુલ્લ 4866 સક્રિય કેસ થઈ થયા છે, તો 51 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે. બીજી તરફ, 3955 દર્દી સાજા
પણ થઈ ચૂક્યા છે. કેરળમાં સૌથી વધુ 1487 સક્રિય કેસ છે, તો સૌથી વધુ 17 મોત સાથે મહારાષ્ટ્ર મોખરે છે. ગભરાવાની જરૂર નથી તેવી ધરપત
આપવાની સાથોસાથ આરોગ્ય મંત્રાલય તરફથી લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરાઈ છે. છેલ્લા
24 કલાકમાં ગુજરાતમાં નવા 167 કોરોનાના કેસો નોંધાવા પામ્યા
છે. રાજ્યમાં હાલ કૂલ 665 કોરોનાના
કેસો નોંધાવા પામ્યા છે, જેમાંથી 615 એક્ટિવ કેસ છે, 15 કોરોના દર્દી
હોસ્પિટલમાં અને 600 કોરોના દર્દી
હોમઆઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 60 કોરોના દર્દી
ડિસ્ચાર્જ થવા પામ્યા છે. નોંધનીય બાબત એ છે
કે આજે અમદાવાદ શહેરમાં 70 જેટલા કોરોનાના
નવા કેસો નોંધાવા પામ્યા છે. જ્યારે 31 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થવા પામ્યા છે. આજના 70 નવા કેસો સાથે અમદાવાદમાં કુલ
કોરોનાના 471 કેસો નોંધાયા છે, જેમાંથી 159 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતાં
હાલ અમદાવાદમાં 321 કોરોનાના
કેસો એક્ટિવ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, સોલા સિવિલ હોસ્પિટલના પાંચ રેસિડેન્ટ ડોકટરોને કોરોનાની અસર થતાં આ તમામ પાંચ
ડોકટરો હોમઆઇસોલશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. અમદાવાદની સિવિલમાં 4 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં એક 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે 3 અન્ય કોરોનાના દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં
સારવાર લઇ રહ્યા છે. બીજી બાજુ આજે રાજકોટમાં
કોરોનાના નવા 7 કેસો નોંધાવા પામ્યા છે. જેને લઈને કોરોનાના
કુલ કેસોનો આંક 68 થયો છે. જેમાંથી
25 કોરોના દર્દી ડિસ્ચાર્જ થતાં
હાલ 43 કોરોનાના એક્ટિવ કેસ છે. કચ્છમાં
પણ આજે 4 કોરોનાના કેસો નોંધાતાં કચ્છમાં 13 કોરોનાના એક્ટિવ કેસ છે. મોરબીમાં
પણ આજે એક કોરોનાનો કેસ નોંધાતાં કુલ 4 કોરોનાના એક્ટિવ કેસ છે. એ જ રીતે ભાવનગરમાં 4 નવા કેસ નોંધાતાં કુલ 13 કોરોનાના કેસો થયા હતા, જેમાંથી 4 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં હાલ 9 એક્ટિવ કેસ છે. જામનગરમાં પણ આજે 7 કોરોનાના નવા કેસ નોંધાવવા પામ્યા છે.