બટકબોલા ટ્રમ્પના ઉપરાઉપરી નિવેદનો વચ્ચે યુક્રેને શનિવારની
મધરાત બાદ રશિયા પર અત્યાર સુધીનો ભીષણ હુમલો કરીને તેનાં યુદ્ધ વિમાનોનો કાફલો નષ્ટ
કરી દેતાં ત્રણ વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત આવવાની સંભાવના નષ્ટ થઇ ગઇ છે. બલ્કે વિશ્વ
સમુદાય સમક્ષ ક્ષોભમાં મુકાયેલા પુતિન બદલાની કાર્યવાહીમાં વધુ ક્રૂર બને એવી દહેશતે
સેવાઇ રહી છે. યુક્રેને અણધારી રીતે રૂસની અંદર ઘૂસીને ભયાનક ડ્રોન હુમલો કર્યો. રૂસના 40 વિમાન નષ્ટ થઇ ગયાં અને એક એરબેઝ તબાહ થઇ ગયો. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ
ખુદ સોશિયલ મીડિયામાં તેનું એલાન કર્યું. અત્યાર સુધી પોતાને અજેય માનતા રશિયાને આ
મોટો ફટકો માનવામાં આવે છે, કેમ કે, તેના અતિ મોંઘાં
જાસૂસી વિમાનો તથા કોમ્બેટ વિમાનો ભંગારમાં ફેરવાઇ ગયાં છે. પુતિનને સંભવત: ભાન થયું છે કે, ઝેલેન્સ્કી
મચક આપે તેમ નથી. અમેરિકા-યુરોપ સહિતના દેશોનું સમર્થન અને સહાય મેળવીને યુક્રેન રશિયાને
ભારે પડી રહ્યું છે. ભય એવો છે કે, પુતિન યુક્રેન પર અણુ હુમલો
કરી બેસશે. આવું બનશે તો દુનિયા માટે એ મોટી હોનારત હશે. કેમ કે, પરમાણુ હુમલા પછીનો વિનાશ યુક્રેન પૂરતો જ સીમિત નહીં હોય. સમગ્ર યુરોપ પ્રભાવિત
થઇ શકે છે. તંગ બનેલા માહોલ વચ્ચે ઇસ્તંબુલ (તુર્કી)માં યુક્રેન-રશિયા વચ્ચેની શાંતિ
મંત્રણા એક કલાકની અંદર સમેટાઇ ગઇ. ઝેલેન્સ્કીએ રૂસ પર જી-7 સ્તરનો પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
શાંતિ મંત્રણા પહેલાં યુક્રેની રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, શાંતિ માટે દરેક પગલાં ભરવાં તેઓ તૈયાર છે,
પરંતુ મંત્રણાના બરોબર એક દિવસ પહેલાં જ તેમણે રૂસમાં ઘૂસીને સૌથી મોટો હુમલો કરી દીધો. ઝેલેન્સ્કીએ આશાવાદ સેવ્યો હતો કે, હવે
પુતિન મંત્રણાની મેજ પર આવવા મજબૂર બનશે. આવી કોઇ સંભાવના જણાતી નથી. કેમ કે રશિયા
યુદ્ધ દરમ્યાન ક્યારેય દબાણમાં જણાયું નથી. અમેરિકા અને યુરોપના મુખ્ય દેશો ખુલ્લેઆમ
યુક્રેનના પડખે રહ્યા છે. આર્થિક અને સૈન્ય મદદ પહોંચાડતા રહ્યા છે, તેમ છતાં ત્રણ વર્ષથી રશિયા ખુદની તાકાત પર ટક્કર લઇ રહ્યું છે. એટલું જ નહીં
યુક્રેનના કેટલાય ક્ષેત્રો પર રૂસી સેનાએ કબજો કરી લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત કરવાના દાવા ગુબ્બારા બનીને ક્યાંય વિલીન થઇ ગયા છે. અમેરિકાએ સાઉદી અરેબિયામાં યુ.એસ.-રૂસી અધિકારીઓ વચ્ચે બેઠક
ગોઠવી, પણ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પના અપરિપક્વ વલણ તેમજ યુરોપ
અમેરિકી છાવણીમાંથી નીકળીને યુક્રેન સાથે થઇ જતાં યુદ્ધનાં વાદળ વિખેરાવાની રહી સહી
સંભાવના નષ્ટ થઇ ચૂકી છે. હવે તો ટ્રમ્પ પણ સમાધાન કે સંધિ માટે દાવો કરતા બંધ થઇ ગયા
છે. યુક્રેન-રશિયા લડાઇએ સમગ્ર દુનિયા માટે ચિંતા જગાવી છે. પશ્ચિમી દેશોને 80 વર્ષે વિશ્વયુદ્ધ છેડાવાનો
ભય સતાવી રહ્યો છે. તાજેતરમાં થયેલી એક મોજણીના
તારણ કહે છે કે, રશિયા સાથે વધતા તનાવ અમેરિકાની
તોફાની વિદેશનીતિ અને પરમાણુ હુમલાના ઝળૂંબતા ખતરાને જોતાં વિશ્વયુદ્ધની ભીતિ નકારી
શકાતી નથી. એક સમયે બે મહાસત્તા અને વિકાસશીલ દેશોની ક્ષીણ તાકાત સાથેની દુનિયામાં
બહુધ્રુવીય વ્યવસ્થા આકાર લેતી થઇ. પોતાના રાજકીય અને વ્યાપારિક હિતોથી પ્રેરિત દેશો છે ત્યારે પોતાનું સ્થાન ગોઠવવાની મથામણમાં ભારત
જેવા તટસ્થ દેશોની ભૂમિકા અતિ મહત્ત્વની બની રહેશે. યુક્રેને રશિયાની અંદર ચાર હજાર
કિલોમીટર સુધી ઘૂસીને યુદ્ધ વિમાનો તોડી પાડયાં એ ઘટના 1941માં બીજાં વિશ્વયુદ્ધ દરમ્યાન
અમેરિકા પર જાપાન દ્વારા થયેલા અણધાર્યા પર્લહાર્બર હુમલા જેવા ભીષણ અને ભયાનક છે.
હવે રૂસ અને તેના રાષ્ટ્રપતિ પુતિન શું કરે છે એના પર મીટ મંડાઇ છે. પુતિને ઉશ્કેરાટમાં
અણધાર્યું કદમ લેવાને બદલે સમજદારી દાખવવી જોઇએ. યુદ્ધથી કદી કોઇ ફાયદો થયો નથી, તેમાં માનવતાની જ હાર થાય છે. હિરોશીમા-નાગાસાકીનો
વિનાશ આપણી સામે જ છે એ રખે ભુલાતું.