નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના આવાસમાં સિંદૂરનો છોડ
વાવ્યો હતો. ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસે 26મી મેના પહોંચેલા મોદીને ભુજમાં 1971નાં ભારત-પાક યુદ્ધ વખતે બહાદૂરી
બતાવનાર માધાપરની વીરાંગનાઓએ આ સિંદૂરનો છોડ ભેટરૂપે આપ્યો હતો. હકીકતમાં, સિંદૂરના આ રોપાને ઓપરેશન સિંદૂર સાથે જોડીને
જોવાઈ રહ્યો છે. પહેલગામ હુમલાનો બદલો લેતાં ભારતે પાકમાં નવ આતંકી ઠેકાણાં પર કરેલા
હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું.
ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતો સિંદૂરનો છોડ શુભ અને શક્તિનું પ્રતીક છે,
જે પર્યાવરણ માટે પણ પોષક મનાય છે. ઉલ્લેખનીય છે કે, કચ્છી વીરાંગનાઓ પાસેથી સિંદૂરના છોડની ભેટ સ્વીકાર્યા પછી ભુજની ભૂમિ પરથી
મોદીએ પાકને ચેતવણી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ
શાંતિથી પોતાના ભાગની રોટી ખાવ, નહિતર મારી ગોળી તો છે જ. દરમ્યાન,
મોદીએ દિલ્હીમાં ભગવાન મહાવીર વનસ્થળ પાર્કમાં વૃક્ષારોપણ કરી એક વૃક્ષ
માનાં નામે અભિયાનને આગળ વધાર્યું હતું.