ભુજ, તા. 5 : રાજ્યમાં હવે પ્રાથમિક સ્કૂલોની
સાથે માધ્યમિક સ્કૂલોના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સમગ્ર શિક્ષા દ્વારા સઘન પ્રયાસો
હાથ ધરાયા છે, જે અંતર્ગત કચ્છમાં અંદાજે
ધો.-8માં ઉત્તીર્ણ થયેલા 38 હજારથી વધુ વિદ્યાર્થી ધોરણ-9માં પ્રવેશ મેળવે તેવા પ્રયાસો હાથ ધરાશે.
રાજ્યમાં ધોરણ-9 અને 10માં 23.28 ટકા ડ્રોપઆઉટ
રેશિયો હોવાની વિગતો સામે આવતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ વખતે માધ્યમિકમાં
ડ્રોપઆઉટ રેટ ઘટાડવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ડ્રોપઆઉટ
રેશિયો ઘટાડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે,
જેમાં વિદ્યાર્થીઓના શાળા છોડવાના ચોક્કસ કારણો અગાઉથી જ જાણીને તેના
સમાધાન માટેના પ્રયાસો કરી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે
શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂકવાને લઈને પરિપત્ર પણ કરાયો
છે, જેમાં જણાવાયા મુજબ ચાલુ વર્ષે માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ
ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા
અર્લી વોર્નિંગ સિસ્ટમ (ઊઠજ) વિકસાવવામાં આવેલી છે. જેનો ઉદ્દેશ ડ્રોપઆઉટ માટે જવાબદાર
ચોક્કસ કારણોના આધારે વિદ્યાર્થીઓનાં ભવિષ્યમાં શાળા છોડી દેવાના જોખમને ઓળખવાનો છે.
આ કારણોની ઓળખ કર્યા પછી બાળકો શાળા અને અભ્યાસ ન છોડે તે માટેની વ્યૂહરચના બનાવીને
નિશ્ચિત પગલાં લઈ આ બાળકોને શાળામાં ટકાવી રાખવા માટેના ઉપાયો કરવા જરૂરી છે. અર્લી
વોર્નિંગ સિસ્ટમના માધ્યમથી ડ્રોપઆઉટ અટકાવવાના યોગ્ય પગલાં લેવાના ભાગરૂપે સ્થાનિક
સમુદાયની સહભાગિતા વધારવા જખઈને સક્રિય કરવાની થાય છે. શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન
સમિતિની બેઠક બોલાવી ઊઠજ સિસ્ટમથી પ્રાપ્ત યાદીની ચર્ચા કરી આ આ બાળકો શાળા ન છોડે
તે માટેની પ્રવૃત્તિઓ નક્કી કરવાની રહેશે. પ્રવેશોત્સવ દરમિયાન જે બાળકો ભણવાનું છોડી
દેવાના હોય એની વિગતો પ્રાપ્ત થાય તો વાલીને બોલાવી સમજાવી બાળકનું શિક્ષણ પૂર્ણ થાય
એવો પ્રયત્ન કરવાનો રહેશે.દરમ્યાન જિલ્લા શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત
પરીક્ષાઓ બાદ કચ્છમાં ધોરણ-8માં 38,075 વિદ્યાર્થી
ઉત્તીર્ણ થયા હતા, આ તમામ છાત્ર
ધોરણ-9મામાં પ્રવેશ મેળવે તે માટે લક્ષ્યાંક નક્કી
કરાયું છે. જ્યારે બાલવાટિકામાં 30,282, 1લા
ધોરણમાં 39,064 તેમજ ધોરણ 10 પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ
અભ્યાસ છોડતા હોય છે, જેના માટે
પણ ચાલુ થતાં નવાં સત્ર દરમ્યાન અંદાજે 20 હજાર વિદ્યાર્થી ધોરણ-11માં પ્રવેશ મેળવે તેવા પ્રયાસ હાથ ધરાયા હોવાનું જાણવા મળી રહ્યું
છે. સરહદી જિલ્લામાં ખાસ કરીને ખાવડા અને બન્ની-પચ્છમના વિસ્તારોના અંતરિયાળ ગામમાં
હાઈસ્કૂલ કક્ષાની શાળાઓ ન હોય અથવા તો દૂરના વિસ્તારની શાળાઓમાં માતા-પિતા દીકરીઓનો
અભ્યાસ માટે મોકલતા નથી, તેવા કિસ્સામાં
ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ઊભી કરવા, કે.જી.બી.વી. જેવી હોસ્ટેલની
વ્યવસ્થા કરવા, કુમાર-કન્યા શાળા સાથે હોવાથી પણ સામાજિક પ્રશ્નો
ઊભા થતા હોય જેના કારણે કન્યાઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેતી હોય છે, તેવી સ્થિતિમાં જરૂર પડયે શાળાઓ અલગ કરવા સહિતનો વ્યાયામ સમગ્ર શિક્ષા દ્વારા
હાથ ધરવાનો નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી
સંજય પરમારે જણાવ્યું હતું. શ્રી પરમારે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ધો. 9 અને 10મા ડ્રોપ આઉટ રેશિયો વધુ આવતાં સરકારે આ
વખતે પ્રામિકની સાથેસાથે માધ્યમિકમાંયે પ્રવેશોત્સવ પર ભાર મૂક્યો છે જેમાં અગાઉ બે
પ્રાથમિક અને એક માધ્યમિક શાળાના બદલે આ વખતે બે માધ્યમિક અને એક પ્રાથમિક શાળાનો રૂટ
નક્કી કરાયો છે જેમાં રાજ્યમંત્રીઓથી લઈ જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. તો ડ્રોપ
આઉટ ઘટાડવા એસએમસી અને એસએમડીસીની નવી રચના કરી તેને સદ્ધર કરાશે. તેમજ પ્રાથમિક વિભાગમાંથી
ધોરણ 8ની યાદી મેળવી દરેક હાઈસ્કૂલોની મોકલી અપાઈ
હતી જેથી તેમાંના કેટલા વિદ્યાર્થીઓ 9મામાં કઈ શાળામાં પ્રવેશ મેળવશે તેનું અભિયાન હાથ ધરી માહિતી
શિક્ષકોએ ઘરોઘર જઈ એકત્ર કરી હતી. બીજીતરફ કચ્છની સરકારીની સાથે-સાથે ખાનગી અને અનુદાનિત સંસ્થાઓ
પણ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા આગળ આવી પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજે તેવી લાગણી શિક્ષણ સાથે જોડાયેલા વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. - શાળા છોડી
ગયેલાઓને પુન: પ્રવેશ અભિયાન : દરમ્યાન કચ્છમાં કોઈપણ કારણોસર અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓ
અને ખાસ કરીને કન્યાઓને અભ્યાસના પ્રવાહમાં પુન: જોડવા અભિયાન હાથ ધરવાનું આયોજન ઘડાઈ
રહ્યું છે. શ્રી પરમારે જણાવ્યું કે, કચ્છમાં અધુરો અભ્યાસ મૂકી શાળા છોડી ગયેલા છાત્ર છાત્રાઓને શોધી તેમને અભ્યાસના
પ્રવાહમાં જોડવા અભિયાન હાથ ધરરાશે જેમાં કચ્છની વિવિવધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને જુદાજુદા
ઉદ્યોગગૃહોનો સહયોગ લેવાનું નક્કી કરાયું છે.