ભારતમાં ક્રિકેટને ધર્મની
જેમ માનવામાં આવે છે. યુરોપ અને લેટિન અમેરિકી દેશોમાં ફૂટબોલ માટે છે,
એવી અપ્રતિમ ચાહના ભારતીય ઉપખંડમાં ક્રિકેટ પાછળ જોવા મળે છે. આકર્ષણ
કે આસક્તિ જ્યારે મર્યાદા વટાવે ત્યારે કેવી ગોઝારી બની શકે, એ બુધવારે બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ની ટીમની સફળતાની
ઉજવણી દરમ્યાન જોવા મળ્યું. ત્યાં ઉજવણી દરમ્યાન ઊમટેલી લાખોની ભીડ વચ્ચે ધક્કામુક્કી
થતાં ઉત્સવના માહોલ પર શોકની કાલિમા ફરી વળી. ભારત અને દુનિયાના કરોડો ક્રિકેટપ્રેમીઓનો
માનીતો વિરાટ કોહલી જે ટીમનું કેન્દ્ર છે, એવી આરસીબી ટીમે 18 વર્ષ બાદ પહેલીવાર આઇપીએલ ટ્રોફી
જીતી. દેશમાં મોડી રાત સુધી ફટાકડા ને રેલીનો માહોલ રચાયો. ક્રિકેટપ્રેમીઓએ મનભરીને
ઉજવણી કરી. ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક ખુદ હાજર રહ્યા અને વિરાટનું સમર્થન
કર્યું, એ તેની ચાહના દર્શાવે છે. બીજે દિવસે બેંગ્લુરુનાં
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિધિવત્ ઉજવણી રાખવામાં આવી હતી, જેમાં
એકાદ લાખ ક્રિકેટપ્રેમીઓની મોજૂદગીના અંદાજથી વિપરીત બે - ત્રણ લાખ લોકો ઊમટી પડતાં
ભારે ધક્કામુક્કી થઇ, જેમાં 11 જણે જીવ ગુમાવ્યો. 33 અન્ય ઘાયલ પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર લેખાવાઇ રહી છે. આરસીબીના
વિજય ઉત્સવને હંમેશ માટે કલંક લાગી ગયું. આ
દુર્ઘટનાએ અનેક સવાલો જગાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિરોધ પક્ષના નેતા રાહુલ
ગાંધીએ દુર્ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો છે, પરંતુ 11 પરિવાર પર
આભ તૂટી પડયું, એવી અરાજકતા માટે જવાબદાર
કોણ, એ સવાલને લઇને રાજકીય
નિવેદનબાજી શરૂ થઇ છે. અહીં એ નોંધનીય છે કે કર્ણાટકમાં સિદ્ધારમૈયાનાં નેતૃત્વ હેઠળ
કોંગ્રેસી સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ ગેરવ્યવસ્થા માટે સરકારને દોષિત ઠેરવીને મુખ્યમંત્રીનાં
રાજીનામાની માગણી કરી છે. સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલતી હતી, એમાં
નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ઉપસ્થિત હતા. રસ્તા પર અને સ્ટેડિયમની બહાર મોતની
ભાગદોડ લાગી હોય અને અંદર જલસો ચાલતો હોય, એ બાબત જ નિંદનીય છે.
મળતા હેવાલો મુજબ દુર્ઘટનાની જાણ થતાં આયોજકોએ ઉજવણી ટૂંકાવી દીધી. પણ એટલું પૂરતું
છે ? જવાબ છે ના. વિરાટની લોકપ્રિયતા અપાર છે. આરસીબીએ ચેમ્પિયન
બનવાની સિદ્ધિ લાંબા ઇન્તેજાર પછી પ્રાપ્ત કરી એટલે ચાહકો ઉત્સાહિત હશે એનો અંદાજ બાંધીને
જ આવા કાર્યક્રમ કરવાની જરૂર હતી. આ લખાય છે
ત્યારે જવાબદારીની ફેંકાફેંક થઇ રહી છે. સરકાર કહે છે ક્રિકેટ બોર્ડનું આયોજન હતું...
પ્રશ્ન એ છે કે નાયબ મુખ્યમંત્રી મહેમાન તરીકે જઇને સ્ટાર ક્રિકેટરો સાથે તસવીરો ખેંચાવતા
હતા, ત્યારે રાજ્ય સરકારે આવી કોઇ ચિંતા કે તપાસ કેમ કરી નહોતી ? આ દુર્ઘટના ભયાવહ છે, એટલી જ બેદરકારી ગંભીર છે. આખરે
માનવજીવનની સુરક્ષાથી વિશેષ બીજું કશું જ મહત્ત્વનું નથી. ક્રિકેટરો તેની માલિકો (ફ્રેન્ચાઇઝી)
કે સ્થાનિક બોર્ડ કે આઇપીએલ સાથે કરારબદ્ધ હોય એ સ્વાભાવિક છે, પરંતુ વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસે એટલી અપેક્ષા રહે કે બધું આયોજન
સુરક્ષિત છે, પ્રેક્ષકો માટે વ્યવસ્થા છે ? એ સુનિશ્ચિત કરવું જોઇએ. અબજોની કમાણી કરતા રમતવીરો કે સેલિબ્રિટીઝની પોતાની
કંઇક જવાબદારી હોય છે, જે તેમણે સમજવી જોઇએ. દરમ્યાન આ લખાય છે
ત્યારે પોલીસે આરસીબી ટીમ, કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ,
ડીએનએ નેટવર્ક તથા અન્યો સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અહીં
એ નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં પુષ્પા - ટુ થિયેટરમાં રજૂ થઇ રહી હતી,
તેના પ્રીમિયરમાં મુખ્ય હીરો અલ્લુ અર્જુન આવી રહ્યાની જાણ થતાં હજારો
ઊમટી પડયા અને થિયેટરમાં ભાગદોડ થતાં રેવતી
નામની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ ચકચારી ઘટનામાં અલ્લુ અર્જુનની ધરપકડ થઇ અને અત્યારે
એ પ0 હજારના જામીન પર મુક્ત છે. આરસીબી ઉજવણીની
દુર્ઘટના માટે રાજ્યની સિદ્ધારમૈયા સરકાર બચાવમાં મુકાઇ છે. જ્યારે હજારો - લાખો લોકો
શિસ્ત અને સમજણ નેવે મૂકે ત્યારે વ્યવસ્થા તૂટે અને ભાગદોડ મચે, એ પ્રયાગના મહાકુંભમાં પણ અનુભવાયું. એ સમયે
યોગી સરકારને કઠેડામાં મૂકનારા કોંગ્રેસના
વડેરાઓ હવે શું કહેશે ? આવી મોટી ઘટના રાજનીતિનું કારણ બને એ
સ્વાભાવિક છે. અલબત્ત, રાજ્ય સરકાર અને સૌ જવાબદારોની પહેલી ફરજ
ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર થાય એ જોવાની છે. સાથે, એવું તંત્ર
ઉભું કરવાનીય જરૂર છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની દુર્ઘટના નિવારી શકાય. ભીડ વ્યવસ્થાપનનો
અભાવ દાયકાઓથી અનુભવાતો રહ્યો છે, એની સખેદ નોંધ લેવી રહી છે. આઇપીએલનું આયોજન વ્યાવસાયિક ક્રિકેટને નવી ઊંચાઇ
સુધી લઇ જવામાં સફળ રહ્યું છે. હાલમાં જ ટેસ્ટ ક્રિકેટને રામ રામ કરનારા વિરાટ કોહલીની
પહેલી આઇપીએલ વિજેતા ટ્રોફી હોવાથી ચાહકોનો ઉત્સાહ પરાકાષ્ટાએ પહોંચ્યો. ફાઇનલની વાત
કરીએ, તો બેંગ્લોરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે છ રને રોમાંચક જીત
મેળવી. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળની ટીમે જે રીતે જોરદાર લડત આપી, એ જોતાં તે
પણ વિજેતા બનવાને હક્કદાર હતી. અલબત્ત, ઇતિહાસ વિજેતાને જ યાદ
રાખતો હોય છે. 73 દિવસમાં 74 મેચમાં ઉત્તેજનાપૂર્ણ ક્રિકેટ રમાયું. 1294 સિક્સર અને 2245 ચોગ્ગાનો અર્થ એ થયો કે સરેરાશ
એક મેચમાં 17 સિક્સ ને 30 ફોર લાગી. કુલ 26381 રન બન્યા અને 868 વિકેટ બોલરોએ ઝડપી. આઇપીએલની
અતિ ચમકદમક અને ક્રેઝની ટીકાઓ થતી હોય છે, પરંતુ રમતને સંબંધ છે, ત્યાં સુધી વૈભવ સૂર્યવંશી, સાંઇ સુદર્શન જેવા ખેલાડી
આવી સ્પર્ધા રમીને વિખ્યાત થયા છે. કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે પણ શાનદાર ફોર્મ સાથે
ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ માટે પસંદ ન કરનારા સિલેક્ટરોને સંદેશ પાઠવી દીધો છે.