• શનિવાર, 07 જૂન, 2025

ગઢશીશાનાં તળાવમાં માછલીઓનાં મોત

ગઢશીશા, તા. 5 : ગઢશીશાનું ઐતિહાસિક અને લોકોના હૃદય સમું `રાતાતળાવ'ની ફરતે અનેક લોકો સવાર-સાંજ પ્રકૃતિનો નજારો લેવા ગામથી દૂર સુધી વોકિંગ માટે કે ફરવા માટે પણ જાય છે, પણ માછલીઓના મોતથી જીવદયાપ્રેમીઓની વેદના છલકી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સારા વરસાદનાં કારણે આ તળાવમાં બાર-બાર મહિનાઓ સુધી પાણી ભરેલું રહે છે અને તે અબોલા જીવો માટે તથા માછલી અને મગર માટે જીવાદોરી સમાન બન્યું છે અને આ તળાવની જાળવણી માટે ગ્રામજનો તથા પ્રકૃતિપ્રેમી સતત સક્રિય પણ રહે છે, પરંતુ હાલમાં આ તળાવમાં કોઇ કારણોસર પાણી દૂષિત થતાં અસંખ્ય નાની-મોટી માછલીઓનાં મોત થતાં ગ્રામજનોમાં તથા જીવદયા અને પ્રકૃતિપ્રેમી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઢળતી સાંજે આ તળાવની મુલાકાત લેતાં તળાવ ખૂબ જ દુર્ગંધ મારે છે અને કિનારા પર અસંખ્ય નાની-મોટી માછલીઓના મૃતદેહ જોવા મળ્યા હતા. તો સાથેસાથે ગ્રામજનો દ્વારા ઠલવાયેલો કચરો પણ જોવા મળ્યો હતો. તળાવની આગામી ચોમાસા પૂર્વે સારી રીતે સફાઇ થાય તેવી માંગ ઊઠી હતી. હાલની પરિસ્થિતિ જોતાં આ તળાવમાં બચેલું પાણી બહાર કાઢી તેની યોગ્ય અને નૈતિકતાના ધોરણે સફાઇ થાય તે ખાસ જરૂરી બન્યું છે. હાલમાં આ તળાવનું ગંદું થઇ ગયેલું પાણી એટલી દુર્ગંધ મારે છે કે તળાવ નજીક જવું પણ લોકો માટે માથાંનો દુ:ખાવો બન્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd