નવી દિલ્હી, તા.24 : રેલવે મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ સમાચારમાં ભારતીય રેલવે
પહેલી જુલાઈથી નવા ભાડા દર લાગુ કરશે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની
મુસાફરી કરનારાઓના ખિસ્સા પર અસર પડશે. જોકે, રાહતની વાત એ છે કે કેટલીક શ્રેણીઓના ભાડાંમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
રેલવેના નવા ભાડાં દર અનુસાર જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે કોઈ
વધારો કરવામાં આવશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો દર ચૂકવવો પડશે. આ ઉપરાંત મેઇલ/ એક્સપ્રેસ
ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ભાડું ચૂકવવું પડશે. તેવી જ રીતે, એસી ક્લાસ ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં
આવ્યો છે. પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી (સબઅર્બન)ટ્રેનોના ભાડામાં
કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી
લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.એ જ પ્રમાણે માસિક સીઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો
કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલવેએ ટિકિટ બાકિંગના
નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. રેલ્વેએ ટિકિટ બાકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ
શરૂ કરી દીધી છે. આ અંગે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી,
રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી
છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર
સુધી તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી નથી.