ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી
દ્વારા ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરો અને મનપામા સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં
લેઆઉટ તેમજ બાંધકામ મંજૂરી તથા કમ્પ્લીશન પ્રમાણપત્ર આપતી વખતે મહાનગરપાલિકાના કોઈ
વેરા બાકી નથી (નો ડયૂ) તે પ્રમાણપત્ર ફરજિયાત માગવામાં આવે તેવા અનુરોધ સાથે જીડીએને
પત્ર પાઠવવામાં આવ્યો છે. શહેરી તેમજ ગ્રામીણ
વિસ્તારમાં ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંધકામ સંબંધિત અથવા અન્ય મંજૂરી કે
પ્રમાણપત્ર આપે છે ત્યારે તત્કાલીન સમયની નગરપાલિકાના ટેક્સના કોઈ રૂપિયા બાકી નથી
તેવું પ્રમાણપત્ર માગવામાં આવતું ન હતું, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ લગભગ બરોબર સ્થિતિ હતી. તેના કારણે શહેરી વિસ્તારમાં
કેટલી નવી ઇમારતોનું બાંધકામ થઈ રહ્યું છે
અને કેટલી ઇમારતોનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું છે તેવી કોઈ વિગત તત્કાલીન સમયની નગરપાલિકાને
મળતી ન હતી. તેના કારણે મિલકતોની આકારણી પણ
થતી ન હોવાથી આર્થિક નુકસાન પણ વેઠવું પડતું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે મહાનગરપાલિકાના
ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ જ ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના સચિવ છે. મહાનગરપાલિકાએ
ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીને પત્ર લખીને
મહાનગરપાલિકામાં સમાવેશ થયેલાં શિણાય, અંતરજાળ, કીડાણા, ગળપાદર, મેઘપર બોરીચી અને
મેઘપર કુંભારડીમાં નકશા પાસ કરાવવા, બાંધકામ મંજૂરી તથા કમ્પલેશન
પ્રમાણપત્ર તથા અન્ય મંજૂરીઓ આપતી વખતે ગાંધીધામ મહાનગરપાલિકાના કોઈ વેરા બાકી નથી
તેવું પ્રમાણપત્ર માગવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. શહેરી અને ગ્રામીણ
વિસ્તારમાં મંજૂરીઓ આપતી વખતે મહાનગરપાલિકાના કોઈ લેણા બાકી નથી તેવું પ્રમાણપત્ર માંગવામાં
આવશે, તો મનપાને તિજોરીમાં સારી એવી આવક થવાની પણ સંભાવનાઓ છે.
- ચાર વર્ષ
પહેલા નગરપાલિકાએ પત્ર લખ્યો હતો : વર્ષો અગાઉ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી
દ્વારા જોડિયા શહેરોમાં નવી બનેલી ઇમારતોની માહિતી તત્કાલીન સમયની નગરપાલિકાને આપવામાં
આવતી હતી ત્યાર પછી કોઈ કારણોસર અચાનક તે માહિતી આપવાનું બંધ કર્યું હતું જેના પગલે
ચાર વર્ષ પહેલાં નગરપાલિકા એ ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી ને પત્ર લખીને કમ્પ્લીસન સર્ટી ( બિલ્ડીંગ યુઝ પરમિશન ) ની વિગતો
આપવા માટે કહ્યું હતું. પરંતુ અત્યાર સુધી જીડીએ દ્વારા આ વિગતો આપવામાં આવી ન હતી
પણ એપ્રિલ મહિનાથી આ માહિતી આપવાની શરૂઆત કરી હતી. - એપ્રિલમાં 40 ઇમારતોની માહિતી આપી હતી : ગાંધીધામ
મહાનગરપાલિકા બન્યા પછી અધિકારી કક્ષાએથી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી ને શહેરમાં જે
નવી ઇમારતો બની છે. અને જેને કમ્પલેશન સર્ટી આપવામાં આવ્યા છે. તેની માહિતી આપવા માટે
કહ્યું હતું જેના પગલે જીડીએસ દ્વારા એપ્રિલ મહિનામાં લગભગ 40 મિલકતોની માહિતી આપવામાં આવી
હતી.જેના આધારે પાલિકાએ તે ઇમારતોની મિલકત આકારણી કરીને ટેક્સ દાખલ કર્યો છે.