ગાંધીધામ, તા. 24 : કંડલાથી કાસેઝ આવતા માર્ગનું
કામ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ પૂર્ણ ન થતાં આ માર્ગ ઉપર વારંવાર ટ્રાફિક
જામની સમસ્યા સર્જાઈ રહી છે. ગાંધીધામના કાસેઝ ઓવર બ્રિજથી કંડલા સુધીના માર્ગ ઉપર
છેલ્લા એકાદ વર્ષથી સુધારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકટી પુલ બંધ કરીને બંને
બાજુ મેટલ પાથરીને વાહનોની આવનજાવન માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે બંને બાજુના માર્ગ
સાંકડી છે. તેમજ આ સાંકડા માર્ગો પરથી અનેક વખત મોટા વાહનો રોંગ સાઈડમાં આવી જતાં ભારે
ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે ડી.પી.એ.,
કસ્ટમ તેમજ ખાનગી કર્મીઓને કંડલા જવામાં ભારે સમસ્યા થાય છે. અનેક વખત
માલગાડીના કારણે પણ સમસ્યા સર્જાય છે. કંડલા પોર્ટ ઉપર આવતા જતાં તોતિંગ વાહનો માટે
મોટો પહોળો માર્ગ બનાવાય તોજ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. આજે સવારથી આ માર્ગ ઉપર ભારે
ટ્રાફિક જામ સર્જાયો હતો જે કલાકો સુધી જામ રહ્યો હતો. પોલીસે પણ આ માર્ગ ઉપર સતત પેટ્રોલિંગ
કરી વારંવાર જામ ન સર્જાય તે જોવું જોઈએ પરંતુ આવું કંઈ થતું નથી. વિદેશથી આવતા જહાજો
ઉપર માલ પહોંચાડનારા શિપિંગના અનેક વાહનો અટવાતા ભારે હાલાકી સર્જાઈહતી. આવી સમસ્યાના
પગલે અનેક વાહન ચાલકોએ ખારીરોહર, ઈન્દિરાનગરવાળો માર્ગ પકડયો
હતો. પરંતુ આ માર્ગ ઉપર પણ ખાડા હોવાથી અકસ્માતની
ભીતી રહેલી છે. આવામાં સરકારી અને ખાનગી કર્મીઓ કંડલા કેવી રીતે પહોંચે તે પ્રશ્ન છે.
આજે સર્જાયેલો જામ કલાકો સુધી રહ્યો હતો. જેના કારણે નાના વાહન ચાલકો તેમાં અટવાયા
હતા. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા લોકોમાં માંગ ઉઠી હતી.