નવી દિલ્હી, તા. 24 : ઈરાન-ઈઝરાયલ
યુદ્ધે ભારતથી મધ્ય પૂર્વ તરફ જતી અને આવતી ઉડાનોને ગંભીર અસર પહોંચાડી હતી. વધતા તણાવ
અને હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ ઉડાન રદ કરવામાં આવી છે. દિલ્હી હવાઈમથકથી 48 ઉડાન રદ કરવામાં આવી છે. આમાંથી
28 ફ્લાઇટ્સ દિલ્હી આવવાની હતી
અને 20 ઉડાન દિલ્હીથી રવાના થવાની
હતી. જયપુર હવાઈ મથકેથી 6 વિમાન રદ
કરવામાં આવ્યા હતા જેમાં મધ્ય પૂર્વ તરફ જતા અને આવતા 3 વિમાનનો સમાવેશ થાય છે. યુએઈ-કતાર હવાઈ
ક્ષેત્ર બંધ થવાને કારણે લખનઉ એરપોર્ટથી અબુધાબી અને શારજાંહ જતી 2 ઉડાન પણ રદ કરવામાં આવી છે. અમદાવાદ હવાઈમથકે
આવતી પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેમાં લંડન,
અબુધાબી, દુબઈ, કુવૈત અને
દોહાથી આવતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. તે જ રીતે, અમૃતસર એરપોર્ટથી
દુબઈ જતી ઉડાન એસજી-55 પણ રદ કરવામાં
આવી છે. ઉલ્લેખનીય છે કે, 23 જૂનની રાત્રે ઈરાને તેના પરમાણુ
મથકો પરના હુમલાનો બદલો લેવા માટે કતારમાં યુએસ અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર 6 મિસાઇલો છોડયા હતા. આ પછી કતાર, બહેરીન, યુએઈ,
ઇરાક અને કુવૈતે તેમના હવાઈ ક્ષેત્રને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા.
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં એરપોર્ટ ફરી ખૂલી રહ્યા
હોવાથી અમે ત્યાંના રૂટ પર કાળજીપૂર્વક અને ધીમે ધીમે અમારી સેવાઓ ફરી શરૂ કરી રહ્યા
છીએ. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સ્પાઇસ જેટે જણાવ્યું હતું કે,
મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે કેટલીક ઉડાન પ્રભાવિત થઈ
શકે છે. કતારમાં અમેરિકી લશ્કરી મથક પર ઈરાની હુમલા બાદ એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વ તરફની
તેની બધી ઉડાન તાત્કાલિક સ્થગિત કરી દીધી છે. એરલાઇને કહ્યું કે, અમારી પાસે કતાર માટે બીજી કોઈ ફ્લાઇટ નથી અને કતારમાં કોઈ વિમાન ગ્રાઉન્ડેડ
નથી.