કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પુસ્તકનાં વિમોચન દરમ્યાન
કરેલી ટિપ્પણી પછી ભાષા મુદ્દે નવેસરથી તકરાર શરૂ થઇ છે. પૂર્વ સનદી અધિકારી આશુતોષ
અગ્નિહોત્રિનું પુસ્તક રજૂ કરતાં ગૃહમંત્રીએ ભારતીય ભાષાઓનું મહત્ત્વ રાખાંકિત કરતાં
કહ્યું હતું કે, ભારતીય ભાષા વિના આપણે
સાચા ભારતીય કહેવાઇ ન શકીએ... તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં
એવા દિવસો આવશે કે અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે. અમિત શાહના આ વિધાનનો મર્મ ભારતીય
ભાષાઓનું મહિમાગાન કરવાનો છે, પણ તેનું `અંગ્રેજી વિરોધી' તરીકે અર્થઘટન કરીને ટીકા-ટિપ્પણી શરૂ થઇ છે.
વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અંગ્રેજી
ભાષા દુનિયા સાથે સાંકળતો પુલ છે, એક શક્તિ છે, બંધનો તોડવાનું સાધન છે. તેમણે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ નથી ઇચ્છતા કે, ગરીબ
બાળકો અંગ્રેજી શીખે, અંગ્રેજી ભણીને પ્રશ્નો પૂછતા થાય. આજના
સમયમાં અંગ્રેજી એટલું જ જરૂરી છે, જેટલી આપણી માતૃભાષા. નોકરી
અપાવવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં અંગ્રેજીની ભૂમિકા મહત્ત્વની છે એમ રાહુલ કહે
છે. વિરોધ પક્ષના નેતાના રાજકીય આક્ષેપને એક કોરાણે મૂકીને કહી શકીએ કે, બાકીની વાતમાં દમ છે. અમિત શાહે આની વિરુદ્ધ કંઇ નથી કહ્યું. અંગ્રેજી વિશ્વવ્યાપી
ભાષા છે, સર્વસ્વીકૃત છે એ ખરું, પણ તેને
લીધે આપણી રાષ્ટ્રભાષા કે પ્રાદેશિક ભાષા પ્રત્યે દુર્વ્યવહાર ન થવો જોઇએ. ગૃહમંત્રી
કહે છે કે, આપણી ખુદની સંસ્કૃતિ, ધર્મ અને
ઇતિહાસને સમજવા માટે માતૃભાષા વધુ સારું માધ્યમ છે. ભાષા પર તકરાર આપણા દેશમાં લાંબા
સમયથી ચાલી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા હિન્દીના ઉપયોગ સામે સતત
અને ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. હદ તો ત્યાં થઇ કે સ્ટાલિને રાજ્યના બજેટમાં $નું પ્રતીક હટાવીને તમિળ ભાષામાં પ્રતીક મૂકયું હતું. બીજા રાજ્યોમાં પણ પ્રાદેશિક
ભાષાના અસ્તિત્વનાં નામે વિવાદ ઊઠતા રહ્યા છે. ઉર્દૂ ભાષા મુસ્લિમ સમાજની અને હિન્દી
ભાષા હિન્દુઓની હોય એવી ભ્રામક માન્યતા ઊભી કરવાનાય દુષ્પ્રયાસ થયા છે. સર્વોચ્ચ અદાલતના
ન્યાયાધીશો અને વિજ્ઞાન ભાષાશાત્રીઓનો સ્પષ્ટ મત છે કે, ભાષાનો
કોઇ ધર્મ નથી હોતો. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ભાષાનો વિવાદ આઝાદી પહેલાં પણ હતો. હિન્દી,
ઉર્દૂ અને પંજાબી ભાષાના મિશ્રણથી હિન્દુસ્તાની ભાષા બની અને ભારતની
રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવાની હતી, પણ પાકિસ્તાને ઉર્દૂને
રાષ્ટ્રભાષા જાહેર કર્યા બાદ હિન્દીને સ્થાન અપાયું. વિવિધતામાં એકતાની આપણી સંસ્કૃતિ
છે, જેમાં આપણી વિવિધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2001ની વસતી ગણતરી મુજબ દેશમાં
કુલ્લ 122 મુખ્ય ભાષા છે અને 234 માતૃભાષા બોલી છે. પૂર્વ ન્યાયમૂર્તિ
ચંદ્રચૂડે સ્થાનિક ભાષામાં કાયદાના શિક્ષણનું સૂચન કર્યું છે. ટૂંકમાં ભારત એવો બહુવિધભાષી-ગૌરવશાળી
દેશ છે જેમાં કોઇ એક ભાષા પ્રત્યે પ્રેમ કે ધિક્કારને સ્થાન નથી. ગૃહમંત્રી અમિત શાહે
કહ્યું છે એ પ્રમાણે સરકારી વહીવટમાં વિવિધ પ્રક્રિયામાં એક સમયે ફક્ત અંગ્રેજી ભાષા
ચાલતી, ત્યાં હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ
વધતું ચાલ્યું છે. ગૂગલ અને ઇન્ટરનેટમાં દુનિયાભરની ભાષા અને અનુવાદ ઉપલબ્ધ છે. એ સંજોગોમાં
અંગ્રેજી આવડતું હશે તો જ આગળ વધી શકાશે એવું રહ્યું નથી. આ અંગ્રેજી સારી રીતે આવડે એમાં ખોટું નથી,
પણ બીજી ભારતીય ભાષાઓનો તિરસ્કાર ન થવો જોઇએ.