ભુજ/ગાંધીધામ, તા. 17 : કચ્છમાં આપઘાત-અકસ્માતમાં પાંચ જીવન પૂર્ણ થયા હતા. ભુજમાં રહેતી
વૈશાલી અરવિંદભાઈ પરમાર (ઉ.વ. 24) નામની પરિણીતાએ
અકળ કારણે ઝેરી દવા ખાઈને આપઘાત કર્યો હતો, તો ભુજ તાલુકાના માનકૂવામાં રહેતા મોહમદ મિસ્તેર શરીફ શેખ (ઉ.વ. 21) નામના યુવાનને વીજશોક ભરખી
ગયો હતો, જ્યારે ભચાઉ તાલુકાના કબરાઉથી ગુણાતીતપુર જતા
માર્ગ પર બાઇક થાંભલાવાળી જાળી સાથે ભટકાતાં રાહુલ મહેન્દ્ર વિનંતીદાસ સાધુ (ઉ.વ. 22) નામના યુવાનનું મોત થયું હતું.
બીજીબાજુ અંજારમાં ટ્રેન હડફેટે ચડતાં તુરિયા સુલ્તાન મન્સુરઅલી (ઉ.વ. 21)એ પોતાનો જીવ ખોયો હતો તેમજ
સુગારિયા નજીક ટ્રેનમાંથી પડી જતાં 38થી 40 વર્ષીય અજાણ્યા
યુવાનનું મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી
વિગતો મુજબ, હતભાગી વૈશાલી પોતાનાં
ઘરે હતી ત્યારે કોઈ અકળ કારણે ઘઉંમાં નાખવાની ગોળી ખાઈ લેતાં તેને તાત્કાલિક જી.કે.
જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત
જાહેર કરી હતી. આ પરિણીતાએ કયા કારણે અંતિમ પગલું ભર્યું તે અંગે ભુજ શહેર એ-ડિવિઝન
પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે માનકૂવામાં દુકાનમાં કામ કરતી વખતે હતભાગી મોહમદને
વીજશોક લાગ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો
હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે
માનકૂવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ કબરાઉમાં રહેનાર રાહુલ અને તેનો મિત્ર
જગદીશ બાઇકથી મેલડી માતાના મંદિરથી કબરાઉ બાજુ આવી રહ્યા હતા ત્યારે તા. 15/6ના રાત્રિના અકસ્માત સર્જાયો
હતો. બાઇક નંબર જી.કે.-39-બી.- 7346થી આ બંને આવી રહ્યા હતા ત્યારે
રાહુલ બાઇક ચલાવી રહ્યો હતો. નર્મદા કેનાલ પાસે પુલથી આગળ નાનો વળાંક આવતાં પાંકડસર
મંદિરને ફરતે આવેલ સિમેન્ટના થાંભલાવાળી લોખંડની જાળી સાથે બાઇક ભટકાઇ હતી, જેમાં રાહુલને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર
અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે
જગદીશને વધુ સારવાર અર્થે આદિપુર લઇ જવાયો હતો. મહેન્દ્ર વિનંતીદાસ સાધુએ બનાવ અંગે
ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ અંજારમાં રેલવે વીજ થાંભલા નં. 14/03થી 14/04 વચ્ચે રેલવે પાટા ઉપર બન્યો
હતો. એકતા નગરમાં રહેનાર તુરિયા સુલ્તાન નામનો યુવાન ગઇકાલે સવારે પાટા બાજુ હતો. દરમ્યાન
ટ્રેન સાથે અથડાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી,
જેમાં તેણે જીવ ખોયો હતો. તેમજ સુગારિયા સીમમાં વધુ એક મોત થયું હતું.
અહીંથી પસાર થનાર કોઇ ટ્રેનમાંથી નીચે પડી જતાં 38થી 40 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. શ્યામ વર્ણનો, મજબૂત બાંધાના આ યુવાનના હાથમાં ગુજરાતીમાં
જગદીશ લખેલું છે. આછા બ્લૂ રંગનું ટી-શર્ટ તથા ભૂખરા રંગનું પેન્ટ આ યુવાને પહેર્યા
છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું હતું.