માંડવી, તા.17 : ગત વર્ષે
68ઈંચનો ધુબાકો કરીને જનતા અને તંત્રને ધોળા દિવસે આંખે તારા બતાવનારા મેઘરાજાએ આ વર્ષે
બે-ચાર દિવસ આગોતરી એન્ટ્રી મારી સાતેક કલાકમાં 89 મીમી એટલે કે સાડા ત્રણ ઈંચ ધુબાકેદાર
ઓપનિંગ ઈનીંગનો આરંભ કરતાં કૃષિકારો અને મુંગાજીવોમાં રાજીપો પથરાયો છે. મધરાતથી વહેલી
સવાર લગી પગ પછાડતા બાબાવાડી વિસ્તારમાં જળભરાવ નિકાલ અર્થે નિર્માણાધિન કેનાલનો કચ્ચરઘાણ
કાઢી નાખ્યો હતો. કુત્તાવાડીથી કાંઠા વિસ્તારને
જોડતાન વરસાદી વહેણ આડે રૂકાવટને દુર કરવા નગરસેવકની રાહબરી હેઠળ રાતભર કેટલાક જણ અવરોધ
દુર કરવા જોડાતા હાશકારો લેવાયો હતો. ઉગમણી, આથમણી અને ઉત્તરાદી પટ્ટીના ગામડાઓમાં પણ દોઢ-બે-અઢી
ઈંચ ધરતોનો ધણી રીઝયો હોવાના વાવડ મળ્યા હતા. આ દરમ્યાન ગત સાંજે વિન્ડફાર્મ 22 એલટી
વાયર તૂટીને ઉભેલા ગૌવંશ પર પડતાં નંદીનો ભોગ લેવાયો હતો. પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસના
અહેવાલ અનુસાર છેલ્લા સપ્તાહ દરમ્યાન ભારે બફારાની અકળામણથી ત્રાહીમામ પ્રજા ઉપર દયાદૃષ્ટિ
કરતાં બપોર પછી ધરતી પલળે તેવો છંટકાવ કરીને અટકેલા ધરતીના ધણીએ મધ્યરાત્રીએ ખભા ઉલાળીને
દીલધડક બલ્લેબાજી કરતાં ગતવર્ષની અતિભારે વર્ષાના અનુભવે તર્ક-વિતર્કો પેદા થયા હતાં
બારથી લગભગ ચાર વાગ્યા સુધી ધુંવાધાર જમાવટ રહેતા શહેરમાં ભારે વહેણ વહેવા માંડયા હતા.
સાંજીપડી, સંધાડા બજાર, કંસારા બજાર, અપના બજાર, આઝાદ ચોક, ભીડ વિસ્તાર, લાકડા બજાર સહિતમાં
પરંપરાગત વહેણ જોશીલા વહેવા માંડયા હતા. કુત્તાવાડી
વિસ્તારમાંથી નીકળતાં વરસાદી નીર અને લાકડાં બજાર વાળો વરસાદી માર્ગ ગરનાળા પાસે ચાલતા
કામની માટી થકી રૂંધાતા નિકાલની સમસ્યા સર્જાઈ. જોકે, વોર્ડ-6ના નગર સેવક
કાદરભાઈ ઉઠારે વહારે આવી એકાદ ડઝન પુરૂષો અને મહિલાઓને અવરોધ દુર કરી પરિસ્થિતિને મહામહેનતે
નિયંત્રણમાં લઈ શકાઈ હતી. નલિયા રોડ ઉપર રોડ વિસ્તરણની કામગીરી જારી હોવાથી ખાડાઓ વગેરેને
લીધે સ્વામીનારાયણ મંદિરથી અયોધ્યા નગર સુધી વાહનચાલકો, વટેમાર્ગુઓ પારાવાર
મુશ્કેલીમાં આવી પડયા હતા. આ કામગીર ત્વરીત અને સુચારૂ સંપન્ન થાય તે વાસ્તે જનપ્રતિનિધિઓ
વહારે આવે તેવી માંગ ઉઠી હતી. વીજ કડાકા ભડાકાને કારણે બિહામણા વાતાવરણ વચ્ચે વીજ પુરવઠો
વિક્ષેપમાં જતાં નાગરિકોએ અંધારા અને અકળામણમાં રાત વિતાવી હતી. સમય કરતાં વહેલી મેઘરાજાની
પધરામણીએ કિસાનો, મુંગાજીવો, જનતા અને ભૂખી ધરાના ચહેરા ઉપર રાજીપો વર્તાઈ રહ્યો છે. વહેલી સવારે કન્ટ્રોલ
રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે
માપદર્શકનો આંક 89 મીમી ઉપર અંકિત થયો હતો. ગુંદીયાળીથી ભગવાનજી બોડાએ આપેલા વાવડ મુજબ
ગુંદીયાળી, મસ્કા, નાગલપર, ઢીંઢ, બાગ, ત્રગડી, મોઢવા, નાના ભાડિયા વગેરે પંથકમાં
દોઢથી બે ઈંચ વરૂણદેવ રીઝયા છે. નદીનાળા નથી વહ્યાં પરંતુ ગામમાંથી છૂટથી પાણી વહી
નીકળ્યા હતા. 22મીથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે એટલે વાવેતર કરવામાં કૃષિકારો ઢીલ
નહીં કરે. ગામ પાસેનો કોઝવે નજીક પાણી ભરાતાં હોવાથી જળ ભરાવનો નિકાલ સત્વરે થાય તેવી
માંફગ છે. ગોધરાથી પૂર્વ સરપંચ હાજી સલીમ ચાકીએ ગોધરા, મેરાઉ, દુર્ગાપુર, ભારાપર, લાયજા વિસ્તારમાં દોઢ-બે
ઈંચ મેઘ મહેર પહેલાં વરસાદની પહેલા વરસાદની પધરામણી વાવણી જોગ છે. સીમાડે ઘાસ સુલભ
થશે એટલે મુંગાજીવો ન્યાલ થશે. બિદડાથી સૈયદ ગુલામ મુસ્તફાએ જણાવ્યું હતું કે બિદડા, નાની ખાખર, મોટા પાડિયા, તલવાણા, પીપરી, ફરાદી વગેરે ગામોમાં
દોઢ-બે-અઢી ઈંચ વાવણીજોગ વર્ષા થકી કિસાનો ગેલમાં આવ્યા છે. પીયાવા વિસ્તારમાં પણ સ્તુતીક
વરસાદ થકી ધરતી ભરાઈ છે. બોર રિચાર્જ કરાયા હતા.
રતડીયાથી વિક્રમસિંહ જાડેજાએ રતડિયા, હમલા, મંજલ, પ્યાકા વગેરે પંથકમાં દોઢ-બે ઈંચ મેઘ મહેર થકી પશુઓ, પશુપાલકો, ખેડુતો આનંદમાં આવ્યા છે. પહેલો વરસાદ હોવાથી નદી-નાળા-વોકળા છલકાઈને
વહે તે વહેલું ગણાય નલિયા વિસ્તરને જોડતા ભુજ, ગઢશીશા, મુંદરા પંથક સહિતની પટ્ટીમાં પ્રમાણમાં ઓછો -વધુ પણ
વરૂણદેવની સવારી આવી હોવાથી હૈયાં પુલકિત જોવા મળી રહ્યાં છે. દરમ્યાન વીજતંત્રના નાયબ
ઈજજેર વિપૂલભાઈ ચૌધરીએ સ્વીકાર્યું હતું કે વિન્ડફાર્મ રસ્તે નારાયણ સ્વામીના આશ્રમ
નજીકથી એલટી લાઈનનો તાર તૂટીને ગૌવંશ ઉપર પડતાં પશુને કાળ આંબી ગયો હતો. - ભુતકાળમાં જ્યારે જ્યારે અસાધારણ વરસાદ ત્રાટકે છે
તે વેળાએ બાબાવાડી, મેઘમંગલ સહિતની નિચાણવાળી સોસાયટીઓ જળ બંબોળ થતી હોવાથ અને ખાસ કરીને ગત વર્ષની
હાલાકી વધી તાજેતરમાં સ્થાનિક તંત્રે એક ઉપાય તરીકે બાબાવાડીમાં ગીતામંદિર પાસે સત્સંગ
તળાવ પાસેથી સત્સંગ તળાવ સાથે મળતી કેનાલ (નાલી) નિર્માણ કાર્ય હાથ ધરેલું. જયેશભાઈ
પી. રાવલે માહિતગાર સાધનોના હવાલાથી આપેલી જાણકારી પ્રમાણે રૂ.18.90 લાખના ખર્ચે
350 મીટર લાંબી વરસાદી પાણી નીકાલ સબબની નાલી હજી પૂર્ણતામાં છે ત્યાં પ્રથમ વરસાદે
કેનારને રબ્બરની જેમ દાબી દીધી છે. કહે છે કે દોઢ-બે ફુટ ઊંડી અને દોઢ-બે ફૂટ પહોળી
સદ રકેનાલ જે-તે વેળાએ એક કુવો હતો અને સમય જતાં પુરાવામાં આવ્યો છે. તેના માથાં ઉપરથી
પસાર થતી હોવાથી કેટલોક ભાગ બેસી ગયો છે. તંત્રમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, તે નાલી વધુ સુરક્ષીત
અને લાભપ્રદ બનાવવામાં કચાશ નહીં રખાય ટૂંકમાં પહેલા વરસાદે તંત્રના કદને કસોટવામાં
ભેજાંઓને ઢંઢોળ્યા હોવાનું નાગરીકોએ કહ્યું હતું. દરમ્યાનમાં આ લખાય છે ત્યારે મેઘરાજાએ
આંખો મચકોડતાં વાતાવરણની જમાવટ સાથે ધરતીને ભીંજવવા ભીનો હાથ ફેરવી રહ્યા છે. - બાબાવાડીમાં કેનાલ ધ્વસ્ત : ગત વર્ષે અનરાધાર થયેલ
વરસાદથી માંડવીના નીંચાણ વાળા વિસ્તાર બાબાવાડી, મેઘમંગલ નગર સહિત વિસ્તારોમાં ઘરોમાં પાણી
આવ્યા ગયા હતા અને જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યો હતો. જેથી તેના સામે સરકાર દ્વારા કરોડોની
રકમની ફાળવણી કરી અને તંત્ર દ્વારા આ વિસ્તારોમાં પાણી ન ભરાય તે કામો હાથ ધરાયા છે.
જે અંતર્ગત હાલમાં બાબાવાડી વિસ્તારમાં પાણી નિકાલ માટે પાણીની કેનાલનું કામ ચાલુ હતું
જે કામ પૂર્ણ થાય તે પહેલાં જ ગત રાત્રીએ પડેલા સામાન્ય વરસાદથી જ આ કેનાલ અનેક જગ્યાએથી
ધસાઈ હતી. ટોપણસર તળાના પાણીના નિકાલ માટે સોનાવાળા નાકાથી સ્વામીનારાણ મંદિર નજીકથી
રૂકમાવતી સુધી મળતી આ કેનાલ પણ ખુલ્લી કરીને એમનેએમ મુકી દેવાઈ છે. જે પણ જોખમી છે. કાઠડા, શીરાવા, નાના-મોટા લાયજા, મેરાઉ સહિતના વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી
મેઘરાજા મંડાણ કરતા સવાર સુધી આ વિસ્તારમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ તથા નાના
છેલાઓમાં પાણી વહી નીકળ્યા હતા અને આ પ્રથમ વરસોદ આગમનથી લોકોએ તેમનું સ્વાગત કર્યું
હતું અને વાવણી લાયક વરસાદ સાથે સમયસર વરસાદ આવી જતાં દરેક પાકોનું વાવેતર થઈ જશે.
નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવીએ આ પ્રથમ વરસાદથી ખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે સમયસર
વરસાદ થાય તો ભયો-ભયો.. શિરવાથી સરપંચ પરેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે હજીતો ઉપર
મંડાણ મંડાયા પડયા છે જેથી વરસાદ થઈ જશે તો દરેકના મોઢા પર અલગ મોજ જોવા મળે છે. - કોડાય ગામે વરસાદથી 35 વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાસાઈ : કોડાય ગામે સોમવાર ની મોડી રાત્રીએ પડેલા ત્રણ ઇંચ
જેટલા વરસાદથી રાત્રે 1 વાગ્યાના અરસામાં 35વર્ષ જુનો પાણીનો ટાંકો ધરાસાઈ થયો હતો.
કોડાય રાયણ રોડ ઉપર ખરવાર પાસે આવેલ 35વર્ષ જૂનો ટાંકો જે 70 હજાર લિટરની પાણીની ક્ષમતા
ધરાવતો હતો અને ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે આ ટાંકો નિર્માણ કરાયું હતું તે ટાંકો
વરસાદ ના પગલે ધરાસાઈ થયો હતો. ત્રગડી વિસ્તારમાં ગત રાતે 11:25થી 1 વાગ્યા સુધીમાં
ગાજવીજ કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડયાનું લાંગાય હાજી અબ્દુલ્લાએ જણાવ્યું હતું.
તો જયેશ શાહના અહેવાલ અનુસાર રાત્રે પડેલ વરસાદ બાદ વિવિધ જગ્યાઓએ ખાડા પડી જવાનું
તો ક્યાંક કેનાલના કામમાં ધોવાણ થયાના બનાવો સામે આવ્યા છે. નવા સ્વામિનારાયણ મંદિર
પાસે મોટો ખાડો પડી જવાથી વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી. ગત ઓગષ્ટ ર0રપ માં માંડવીમાં એકસાથે ખાબકેલા 40
ઈંચ વરસાદથી શહેરમાં બાબાવાડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી થઈ હતી. આવી
તારાજી ફરી ન થાય તે માટે ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ યોજનાઓ
અમલી બનાવાઈ છે. નગરપતિ હરેશભાઈ વિંઝોડાએ આગામી વરસાદની સીઝનની તૈયારી છે તે સામે તંત્ર
દ્વારા લેવાયેલ પગલા અંગે જણાવેલ કે લક્ષ્મીનારાયણ નગરથી રોયલ વિલાવાળી નદી સુધી 1ર
ફુટ પહોળી અને પ ફુટ ઊંડી કેનાલ કરવાની પ્રક્રીયા ચાલુ છે. નગરપતિ વિંઝોડાએ વધુમાં
જણાવેલ કે લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ન ભરાય
તે અતિ જરૂરી છે. તળાવ ન ઓગને તો કઈં વાંધો નહીં તેવું સ્પષ્ટપણે તેઓએ જણાવ્યું હતું.
શહેરમાં વિવિધ જગ્યાઓએ ગટર તથા પાણીની લાઈનોની જીયુડીસીના કામ ચાલુ છે. માંડવી તાલુકાના
ગઢશીશા અને આસપાસના વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસતાં વાતાવરણમાં ટાઢક પ્રસરી
હતી, તેવું પ્રતિનિધિ જિજ્ઞેશ
આચાર્યના અહેવાલમાં જણાવાયું છે. - વરસાદી પાણી નિકાલની નાળી રબ્બરની જેમ દબાઈ : ભૂતકાળમાં જ્યારે-જ્યારે
અસાધારણ વરસાદ ત્રાટકેલો છે તે વેળાએ બાબાવાડી, મેઘમંગલ સહિતની નીચાણવાળી સોસાયટીઓ જળબંબોળ થતી હોવાથી
અને ખાસ કરીને ગત વર્ષની હાલાકી થકી તાજેતરમાં સ્થાનિક તંત્રે એક ઉપાય તરીકે બાબાવાડીમાં
ગીતામંદિર પાસે સત્સંગ તળાવ સાથે મળતી કેનાલ (નાળી)નું નિર્માણકાર્ય હાથ ધરેલું. જયેશભાઈ
પી. રાવલે માહિતગાર સાધનોના હવાલાથી આપેલી જાણકારી પ્રમાણે રૂા. 18.90 લાખના ખર્ચે
350 મીટર લાંબી વરસાદી પાણી નિકાલ સબબની નાળી હજી પૂર્ણતામાં છે ત્યાં પ્રથમ વરસાદે
કેનાલને રબ્બરની જેમ દાબી દીધી છે. કહે છે કે, દોઢ-બે ફૂટ ઊંડી અને દોઢ-બે ફૂટ પહોળી સદર કેનાલ જે-તે
વેળાએ એક કૂવો હતો અને સમય જતાં પૂરવામાં આવ્યો છે. તેના માથાં ઉપરથી પસાર થતી હોવાથી
કેટલોક ભાગ બેસી ગયો છે. તંત્રમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, તે નાળી વધુ સુરક્ષિત
અને લાભપ્રદ બનાવવામાં કચાશ નહીં રખાય. ટૂંકમાં પહેલા વરસાદે તંત્રના કદને કસોટવામાં
ભેજાંઓને ઢંઢોળ્યા હોવાનું નાગરિકોએ કહ્યું હતું. દરમ્યાનમાં આ લખાય છે ત્યારે મેઘરાજા
આંખો મચકોડતાં વાતાવરણની જમાવટ સાથે ધરતીને ભીંજવવા ભીનો હાથ ફેરવી રહ્યા છે.