ગાંધીધામ, તા. 17 : રાજ્યના ભારે વરસાદની આગાહી અંતર્ગત ગાંધીધામ-આદિપુરમાં ગત રાત્રિ અને આજે બપોરે મેઘરાજાએ તોફાની બાટિંગ કરી હતી અને મોસમના પ્રથમ પાંચ ઇંચ વરસાદથી આર્થિક પાટનગર જળબંબાકાર થઈ ગયું હતું, ભારે વરસાદની સ્થિતિના પગલે અનેક રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો માટે પ્રથમ વરસાદ પીડાદાયક બન્યો હતો. સમગ્ર શહેરમાં જળભરાવની સ્થિતિને થાળે પાડવા માટે મહાનગરપાલિકાના તંત્ર જેસીબી સાથે પાણી નિકાલની કામગીરીમાં પરોવાયું હતું. - રાત્રિના એક ઈંચથી વધુ વરસાદ : ઉનાળાની મોસમમાં દેશભરમાં 46 ડિગ્રી સુધી ગાંધીધામ સંકુલ તપ્યું હતું. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સંકુલના રહેવાસીઓ અકળાયા હતા. ગત રાત્રિના ગાંધીધામ-આદિપુરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. રાત્રિથી સવાર સુધીમાં ધીમીધારે, તો ક્યારેક ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ મહેર વરસાવતાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાત વચ્ચે ધીમીધારે પડેલા વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર નદીઓ વહી નીકળી હતી. - બપોરે બે કલાકમાં પવન સાથે મેઘરાજાની સટાસટી : ગાંધીધામમાં આખો દિવસ ગગનમાં મેઘાડંબર છવાયેલો રહ્યો હતો. બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં બપોરે ત્રણ વાગ્યે ઘોર અંધકાર છવાઈ ગયો હતો. જેના કારણે વાહનોની લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. પોણા ચાર વાગ્યા બાદ મેઘરાજા પવન સાથે એન્ટ્રી કરી હતી. સતત બે કલાક સુધી ધુંઆધાર વરસાદથી ગાંધીધામ-આદિપુર પાણી-પાણી થઈ ગયું હતું. ગાંધીધામના પ્રવેશદ્વાર ચાવલા ચોક, ભાઈપ્રતાપ સર્કલ, મુખ્ય બજાર, ડી.બી.ઝેડ. સાઉથ-નોર્થ, ઝંડાચોક, ભારત નગર, સુંદરપુરી, ગણેશ નગર સહિતના અનેક વિસ્તારોમાં વ્યાપક જળભરવાની સ્થિતિ સર્જાઈ હતી. ડી.બી.ઝેડ. વિસ્તારમાં વરસાદી નાળાંની સફાઈના અભાવે રહેણાક મકાનોમાં બે ફૂટ જેટલા પાણી ભરાયાં હોવાની રાવ નાગરિકોએ આક્રોશ સાથે કરી હતી. ચાર ઇંચ વરસાદમાં આવી સ્થિતિ છે તો છ કે સાત ઇંચ વરસાદમાં શું પરિસ્થિતિ સર્જાય તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો હતો. કલેક્ટર રોડ ઉપર આખા ગાંધીધામ-આદિપુરનું પાણી અહીંથી હાઈ-વે તરફ જાય છે અહીં નાળાં સફાઈના અભાવે માર્ગ ઉપર ભારે કફોડી સ્થિતિ સર્જાઈ હતી. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. થોડો સમય લાઈટ આવ્યા બાદ સાંજે મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફરી પુરવઠો ખોરવાતાં લોકો બફારામાં શેકાયા હતા. - ભારતનગરમાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ : અનેક માળખાકીય સુવિધાઓના અભાવે ગાંધીધામનો ભારત નગર વિસ્તાર સમસ્યાઓના અજગરી ભરડામાં સપડાયેલો છે, ત્યારે વરસાદની મોસમમાં આ વિસ્તારની હાલત શહેરથી વિખૂટો પડી જાય તેવી સ્થિતિ દર વર્ષે સર્જાય છે. બપોરે એકી સાથે ચાર ઇંચ વરસાદથી ભારત નગર વિસ્તારની હાલત ભયંકર કફોડી બની હતી. જનતા કોલોનીથી ભારત નગરની મુખ્ય બજાર તરફ જતા માર્ગ ઉપર ભારે જળભરાવથી પસાર થવું મુશ્કેલીભર્યું બન્યું છે. મુખ્ય માર્ગ ઉપર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોવા છતાં પણ વરસાદી નાળાંની સફાઈ, નાળાં ઉપર થયેલાં દબાણો તોડવા સહિતની કોઈ પણ કામગીરી તંત્ર દ્વારા આજ દિન સુધી કરાઈ નથી અને આ સમસ્યાને અનદેખી કરાઈ હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપરાંત ભારત નગરની 30થી વધુ સોસાયટીનાં રહેણાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાની સ્થિતિ રાબેતા મુજબ સર્જાઈ હતી. સાંજે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે અને જો હજુ એક દોઢ કલાક વધુ વરસાદ પડે, તો આ વિસ્તારના હજારો લોકોને સલામત સ્થળે ખસેડવા પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે રાત કેમ નીકળશે તેવી દહેશત લોકોને સતાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેહરુ પાર્ક સામેથી સુંદરપુરી સુધીના જૂનાં વરસાદી નાળાં ઉપર દબાણ ખડકી દેવાયાં છે. આ નાળું બંધ જેવી હાલતમાં હોવાથી આ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ 1 ઇંચ વરસાદમાં પણ ભારે કફોડી સર્જાય છે. - આદિપુરમાં માર્ગો ઉપર જોશભેર પાણી વહ્યાં : ગાંધીધામની સાથે આદિપુરમાં પણ મેઘરાજાએ ધુંઆધાર બાટિંગ કરી હતી. આદિપુરમાં મદનાસિંહ ચોક, સંતોષી મા ચાર રસ્તા, મૈત્રી રોડ, પોસ્ટ ઓફિસ પાસે, વિવિધ સોસાયટી વિસ્તારના આંતરિક માર્ગોમાં ભરાયાં હતાં. વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. - રાત્રિથી સાંજ સુધીમાં 112 મિમી વરસાદ : ગાંધીધામ મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલ રૂમમાં ગતરાત્રિના અને બપોર સુધીમાં 112 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આંકડા ઉપર નજર કરીએ, તો સોમવારે રાત્રે 10થી 12 સુધી 22 મિલિમીટર, બેથી ચાર સુધી સાત મિલીમીટર, પરોઢિયે ચારથી છ સુધી બે મિલીમીટર અને મંગળવારે સાંજે ચારથી છ વાગ્યા સુધી 81 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. છ વાગ્યા બાદ વરસાદે થોડો વિરામ લીધો હતો. જો કે, વરસાદી માહોલ બરકરાર છે. સાંજે ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ વરસતાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી. વિદ્યાર્થીઓ વરસાદનો આનંદ માણતા ઘરે જતા નજરે પડયા હતા, તો લોકો નાસ્તાની લારીઓ ઉપર ગરમ નાસ્તાની લિજ્જત માણતા જણાયા હતા. - ઘોડા છૂટયા
પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ : ગાંધીધામ, તા. 17 : ગાંધીધામમાં મહાપાલિકા દ્વારા
મોડે-મોડે નાળાં સફાઇ શરૂ કરાઈ હતી, જે હજુ થઈ નથી, દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું
છે, તેનું પરિણામ નાગરિકો ભોગવી રહ્યા છે. સોમવારે શહેરમાં પડેલા
વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. 10-એ, ગુરુકુળ સહિતના
વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં, તો માર્ગો જળબંબાકાર
હોવાથી લોકો પોતાના વાહનોને દોરીને લઈ ગયા હતા. સ્થિતિ ખરાબ છે. પાણી નિકાલની વ્યવસ્થાનું
આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડયું છે. વરસાદ પડયા પછી જેસીબીથી નતરરૂપ દબાણ તબેલાને
તાળાં મારવા જેવી સ્થિતિ : તોડીને પાણીનો
નિકાલ કરવા મથામણ થઈ રહી હતી. મહાપાલિકા તંત્રના દાવા મુજબ ગાંધી માર્કેટ ભારતનગર, ગુરુકુળ, સુંદરપુરી સહિતના
વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી કરાઈ હતી. ગાંધીમાર્કેટ પાસે તો ચાલુ વરસાદમાં દબાણ
તોડવું પડયું હતું, તો ઘણી જગ્યાઓ ઉપર રોડ તોડવા પડયા હતા. ઘોડા
છૂટયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ છે.