• મંગળવાર, 17 જૂન, 2025

મોદી સરકારની વિદેશનીતિ ભારત કેન્દ્રિત છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવાર ભારત સરકારની વિદેશનીતિની ટીકા અને વિરોધ કરી રહ્યા છે. ગાઝામાં ઈઝરાયલનાં આક્રમણથી નિર્દોષ લોકો-બાળકોના જીવ જાય છે તેનો વિરોધ કરતાં યુએનના ઠરાવને ભારતે ટેકો આપ્યો નહીં. આ તટસ્થતા ભારતની નીતિ નથી. નેહરુ અને ઇન્દિરા ગાંધીની વિદેશનીતિ અને તટસ્થતાથી વિરોધી વલણ મોદી સરકારે લીધું હોવાની ટીકા પવાર સાહેબે કરી છે. મુંબઈના ઘાટકોપરમાં પક્ષના કાર્યકરોને સંબોધતાં એમણે પહેલગામમાં આતંકી હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હત્યારા આતંકીઓ સામે સખત પગલાં ભરવાની જરૂર હતી, પણ એમ થયું નથી ! અઢાર મિનિટના ભાષણમાં શરદ પવારે આપણી ચૂંટણી પ્રક્રિયા વિષે શંકા વ્યક્ત કરી. `રાહુલ ગાંધીએ પણ આ બાબતે લખ્યું છે' એમ કહ્યું, પણ આ વિષયમાં કોઈ પુરાવા રજૂ કરવાને બદલે આક્ષેપબાજી થાય છે એવો જવાબ ચૂંટણીપંચે આપી દીધો છે - એ શું પવાર જાણતા નથી ?, પણ એમનું ભાષણ ચૂંટણી-લક્ષી જ હતું. મહારાષ્ટ્રમાં - અને મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં આપણે મહાવિકાસ આઘાડીની એકતા મજબૂત કરવી છે કે, અલગ રહીને નબળી પાડવી છે એ નક્કી કરવાનું છે ! શરદ પવાર જેવા પીઢ નેતા- પૂર્વ સંરક્ષણપ્રધાનની ટીકા અને રાજકારણ સૌ કોઈ જાણે, સમજે છે ! પણ શું તેઓ જાણતા નથી કે, ઈઝરાયલ તેના અસ્તિત્વ માટે લડે છે. ગાઝા હોય કે ઈરાન - તેના નિશાન ઉપર ઈઝરાયલ જ છે. બેન્જામીન નેતન્યાહુની હત્યા કરીને કાંટો કાઢવાના પ્રયાસ થાય છે, ત્યારે ઈઝરાયલ ચારે બાજુથી ઘેરાયેલું છે તેથી સ્વરક્ષણ માટે લડે છે. તટસ્થતાની નીતિની ઘણી ચર્ચા ભૂતકાળમાં થઈ છે : તેની પાછળ પણ વોટબેન્ક હોવાના આક્ષેપ થયા છે અને આવી નીતિને `નપુંસક' ગણાવાઈ છે. ભારત-મોદી સરકારની વિદેશનીતિ - સ્વદેશ - ભારતકેન્દ્રી છે. આપણે આપણા દેશની આબાદી અને રક્ષણને - પ્રાધાન્ય આપવાનું છે. હવે મોદી - ઓપરેશન સિંદૂર પછી ત્રણ વિદેશોની મુલાકાતે ગયા છે. સાયપ્રસની પસંદગી થઈ અને પ્રથમ પગ ત્યાં મૂક્યો છે. ત્યાંના રાષ્ટ્રપતિ જાતે વિમાનમથકે મોદીને આવકારવા આવ્યા તે નોંધપાત્ર છે. તુર્કી પાડોશી હોવા છતાં સાયપ્રસનું દશકોથી શત્રુ છે. પાકિસ્તાની આતંકવાદનું હંમેશાં સમર્થન કર્યું છે. પહેલગામ પછી પણ ભારતના બદલે પાકિસ્તાનને સાથ આપ્યો છે, જ્યારે સાયપ્રસ કાશ્મીર મુદ્દે શરૂથી જ ભારત સાથે છે. હવે યુરોપિયન યુનિયનમાં સાયપ્રસ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભારતને યુરોપની સહાનુભૂતિ અને સમર્થન મળશે. ભારતે તુર્કી સાથેના વ્યાપાર ઉપર નિયંત્રણો મૂકીને સાયપ્રસ સાથે વ્યાપાર વધારવાનો નિર્ણય કર્યો છે. છેલ્લાં 23 વર્ષમાં ભારતના વડાપ્રધાન મોદીએ સાયપ્રસની શુભેચ્છા મુલાકાત લીધી છે. તુર્કીની દાદાગીરી સામે સાયપ્રસ ભારત સાથે સંરક્ષણ - સહકાર પણ વધારવા માગે છે. વડાપ્રધાન મોદી કેનેડામાં ગ્રુપ ઓફ સેવન બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા છે. યુરોપના અન્ય સભ્ય દેશોનાં સૂચન-સલાહથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મોદીને આમંત્રણ આપ્યું છે. આ મુલાકાત ભારત-કેનેડાના સંબંધ સુધારવા માટે પણ મોકો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને પણ મળશે. ગ્રુપ-સેવનમાં પશ્ચિમ એશિયાની ગંભીર બનતી સ્થિતિ, યુક્રેન-રશિયા લડાઈનો વિષય ઉપરાંત વિશ્વની ઊર્જા સલામતી, પર્યાવરણ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત ચર્ચા-વિચારણા થશે. ત્રીજા દેશ ક્રોશિયાની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન મોદી છે. વ્યાપાર, મૂડીરોકાણ, કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે. ઓપરેશન સિંદૂર પછી ભારતના સર્વપક્ષી પ્રતિનિધિમંડળોએ વિશ્વના તેત્રીસ દેશોની મુલાકાત લઈને પાકિસ્તાની આતંકનો ચહેરો બતાવ્યો છે. હવે તેત્રીસ પછી ત્રણ દેશોની મુલાકાત વડાપ્રધાન ખુદ લઈ રહ્યા છે તે નોંધપાત્ર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd