રાજકોટ / અમદાવાદ, તા.17 : સૌરાષ્ટ્ર
સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ધમાકેદાર પ્રવેશ થયો છે અને પ્રથમ વરસાદમાં
જ વાવાણીલાયક વરસાક વરસાદ વરસતાં જગતાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અલગ-અલગ સ્થળે કાર તણાતાં બેનાં મોત થયા હતા જ્યારે
પાંચ લાપતા બન્યા હતા. પાંચનો બચાવ કરાયો હતો. ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમરેલીમાં છેલ્લા બે દિવસથી અવિરત
વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બોટાદના ગઢડામાં એક
રાતમાં જ 14 ઇંચ જેટલો
વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. સોમવારે ભાવનગરના પાલિતાણા, સિહોર સહિતના વિસ્તારમાં 10 ઇંચ જેટલા વરસાદે નીચાણવાળા
વિસ્તારોમાં પાણી ભરાયા છે. આવા વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા એનડીઆરએફની
ટીમની મદદ પણ લેવામાં આવી હતી. આજે ફરી રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી,
સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી
સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી. ગઢડા (સ્વામી)
પંથકમાં સતત વરસાદના પગલે મોટાભાગના ડેમ તેમજ
નદીનાળા છલકાઈ જતાં સીઝનના પ્રથમ વરસાદે 2007 પછી અઢાર વર્ષો બાદ વિક્રમ સર્જયો હતો. ભાવનગર જિલ્લામાં સતત
બીજા દિવસે જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડયો હતો. ઉમરાળામાં પાંચ ઇંચ, વલભીપુરમાં પોણા ચાર ઇંચ, શિહોરમાં અઢી ઇંચ, ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. મોરબી જિલ્લામાં મેઘરાજાએ ગતરાત્રીથી વરસવાનું શરૂ
કર્યું હતું. જેમાં મોરબીમાં 5, ટંકારા-હળવદ 4, વાંકાનેર 2.5, માળિયા મિંયાણા
2 ઇંચ વરસાદ પડયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની
મહેર થઈ છે. જોડિયામાં મેઘરાજાએ રમઝટ બોલાવતા સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.જામનગર
શહેર તથા જામજોધપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં અલગ-અલગ
ત્રણ સ્થળે કાર તણાઈ જવાના બનાવોમાં બેના મૃત્યુ અને પાંચ લાપતા, પાંચનો બચાવ થયો છે. અત્યાર સુધીમાં બોટાદમાં
40, અમરેલીમાં 80 મળીને કુલ 120 જણાનું સ્થળાંતર કરાયું છે
અને પાણીમાં ફસાયા હોય એવા 109 જણાને બચાવી
લેવાયા છે. ભારે વરસાદને કારણે 12,953 ગામમાં
વીજળીને અસર થઈ હતી. જેને તાકીદના ધોરણે રિપેર કરાયા હતા. હાલની સ્થિતિએ 241 ગામોમાં અંધારપટ છે. 10 જેટલા સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે, પંચાયતના 95 અને અન્ય 28 મળીને કુલ 134 જેટલા રસ્તા હાલ બંધ કરાયા
છે. દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેક્ટરો
સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.