નવી દિલ્હી, તા.17 : અમદાવાદની કમનસીબ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા સામે ઊઠી રહેલા સવાલો વચ્ચે આજે એર ઈન્ડિયાની સાત જેટલી ઊડાન રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતા એર ઈન્ડિયાના વિમાનમાં કોલકાતા ખાતે રોકાણ દરમ્યાન યાંત્રિક ક્ષતિ સામે આવતાં વિમાન ખાલી કરાવાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉડાનો રદ થવાથી રઝળી પડેલા મુસાફરોનો એર ઈન્ડિયા પર ગુસ્સો ફૂટયો હતો અને અમદાવાદ વિમાન દુર્ઘટના પૂર્વે એરલાઇન્સ દ્વારા સુરક્ષાના નાના-મોટા મુદ્દાઓની અવગણનાની આશંકા પણ જાગી છે. એર ઈન્ડિયા દ્વારા આજે જે ઉડાનો રદ કરવામાં આવી તેમાં એઆઈ-915 (દિલ્હી-દુબઈ), એઆઈ-153 (દિલ્હી-વિયેના), એઆઈ-143 (દિલ્હી-પેરિસ), એઆઈ-159 (અમદાવાદ-લંડન) અને એઆઈ-170 (લંડન-અમૃતસર), બેંગ્લોર-લંડન અને સાનફ્રાન્સિસ્કો-મુંબઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી આવી રહેલા એઆઈ-315ના રૂપમાં કાર્યરત ડ્રીમ લાઈનરમાં ખામી સર્જાતાં તેને હોંગકોંગ પરત લાવવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ આજે જણાવ્યું હતું કે, 12થી 17 જૂન વચ્ચે બોઈંગ-787ની ઉડાન સહિત 66 ઉડાન રદ કરી હતી. મહાનાર્દેશાલયે એમ પણ કહ્યું કે, 12 જૂનજી દુર્ઘટના બાદ બોઈંગ-787 શ્રેણી ડ્રીમલાઈનરની તપાસ કરાઈ હતી, જેમાં સલામતીને લઈને કોઈ મોટી વાત સામે આવી નથી. આ ઉપરાંત ફ્રેન્ફકફર્ટ અને લંડનથી હૈદરાબાદ અને ચેન્નાઈ જઈ રહેલા લુફાન્સા અને બ્રિટિશ એરવેઝ સંચાલિત બે ડ્રીમ લાઈનરને પણ તેમના મૂળ હવાઈમથકે વાળવામાં આવ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રામાં સલામતી અંગે દેશભરમાં સવાલો ઉઠી રહ્યાં છે ત્યારે આ સવાલોને ભયમાં ફેરવે અને મુસાફરોને પરેશાનીમાં મૂકે તેવી ઘટનાઓ ઉપરા ઉપરી સામે આવી રહી છે. સોમવારની મોડી રાતે મુંબઈથી અમદાવાદ આવનાર એર ઈન્ડિયાનું એક વિમાન અમુક ઓપરેશનલ કારણોસર કલાકો સુધી મોડું પડયું હતું. આ દરમિયાન વિમાનનાં ક્રૂ કર્મચારીઓની નોકરીનો સમય પૂરો થઈ ગયો હતો. જેનાં હિસાબે આખરે ઉડાન જ રદ થઈ હતી. અમદાવાદ દુર્ઘટના બાદથી એર ઈન્ડિયાનાં વિમાનો સતત સમસ્યામાં ઘેરાયેલા દેખાવા લાગ્યા છે. સન ફ્રાંસિસ્કોથી મુંબઈ આવતાં એર ઈન્ડિયાનાં એક વિમાનમાં એન્જિનમાં ગડબડ સામે આવી હતી. જેનાં હિસાબે આ વિમાનને કોલકતામાં ઉતારી લેવાની ફરજ પડી હતી. સલામત ઉતરાણ બાદ યાત્રીઓને પણ તેમાંથી ઉતારી લેવાયા હતાં અને વિમાને પછી આગળની યાત્રા માંડી વાળી હતી. તો દિલ્હીથી કોચ્ચી જઈ રહેલા ઈંડિગો એર લાઈન્સનાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી. જેને પગલે વિમાનનું નાગપુરમાં તાકીદની સ્થિતિમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. આમ, છેલ્લા પાંચ દિવસમાં વિમાનમાં બોમ્બની ધમકી મળવાનો આ ત્રીજો બનાવ બન્યો છે. - યાંત્રિક ક્ષતિ : અમદાવાદથી લંડન જતી ઉડાન રદ્ કરાઇ : અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન તૂટયું થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન આજે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ઉડાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રદ કરી હતી. આ ઉડાન બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ થવાની હતી. આ વિમાન રદ થવાને કારણે મુસાફરો હવાઇ મથકે અટવાયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઇ 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી, પરંતુ ઉડાનના માત્ર થોડાક કલાકો પહેલાં આ વિમાનમાં યાંત્રિક ખામી જણાતાં તેને રદ કરવી પડી હતી. આ ઉડાન રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.પાંચ દિવસ પહેલાં જ્યારે અમદાવાદમાં વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટમાં તૂટયું અને મુસાફરો કાળનો કોળિયો બન્યા ત્યારથી જ લોકોમાં ભયનો માહોલ મળી રહ્યો છે.