• બુધવાર, 18 જૂન, 2025

કચ્છ યુનિ.ને 21 વર્ષે મળી નેકની માન્યતા

ભુજ, તા. 17 : કચ્છ યુનિ.ને તેના માન્યતાના 21 વર્ષ બાદ નેકની માન્યતા મળી છે ત્યારે આ માન્યતા મળતાં ઉચ્ચ શિક્ષણના વિકાસના નવાં દ્વાર ખૂલશે તેવો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે. વર્ષ 2018થી 2023 દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યોનાં મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી-ગ્રેડ સાથે માન્યતા આપવામાં આવી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. 2004માં કચ્છ યુનિવર્સિટીને યુ.જી.સી.ના 2(એફ)ની માન્યતા મળી, ત્યારબાદ 2018માં યુનિવર્સિટીએ યુ.જી.સી.ના 12(બી)ની માન્યતા પ્રાપ્ત કરી. 12(બી)ની માન્યતા પછી કચ્છ યુનિવર્સિટીએ નેકની માન્યતા માટે કાર્યવાહી શરૂ કરી હતી. કોરોના મહામારી અને અન્ય સંજોગોનાં કારણે યુનિવર્સિટી 2018થી 2023 સુધી નેકની માન્યતા માટે ભાગ લઈ શકી ન હતી. વર્ષ 2024માં ડો. મોહન પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક થતાં જ તેમણે નેકની માન્યતા માટે પ્રક્રિયા શરૂ કરી હતી. યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર અને આઇક્યુએસી કો-ઓર્ડિનેટર ડો. કાશ્મીરા મહેતાનાં માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના સમગ્ર ટાચિંગ તથા નોનટાચિંગ પરિવાર દ્વારા એક વર્ષની મહેનત દરમિયાન 2018થી 2023ના વિવિધ કાર્યોને નેકના માપદંડ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. નેકની ટીમ 3થી 5 જૂન દરમિયાન કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ તથા ઓનલાઈન વિઝિટ કર્યા બાદ યુનિવર્સિટીને નેકની માન્યતા સી-ગ્રેડ સાથે આપી હતી. નેકની માન્યતા માટે યુનિવર્સિટી દ્વારા થતા વિવિધ કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં અભ્યાસક્રમ, શિક્ષણ અને અધ્યયનની પ્રક્રિયાઓ, સંશોધનની નવીનતા, યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લર્નિંગ રિસોર્સીસ, વિદ્યાર્થી સહાય અને પ્રગતિ, શાસન, નેતૃત્વ અને વ્યવસ્થાપન તથા સંસ્થાકીય મૂલ્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા નેક પ્રક્રિયામાં ભાગ લેવાના ઉત્તમ કાર્ય માટે કુલપતિ ડો. મોહન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને આઇક્યુએસીના વડા ડો. કાશ્મીરા મહેતાને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને યુનિવર્સિટીના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ડો. ગૌરવ ચૌહાણ કે જેમણે નેકની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે અરજીથી પિયર ટીમની  વિઝિટ દરમિયાન યુનિવર્સિટીના સત્તાધિકારીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી અને યુનિવર્સિટીની નેકની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું તે માટે અભિનંદન પાઠવ્યા હતા. - બી ગ્રેડ મેળવવામાં થોડાક પોઇન્ટ ઘટયા : કચ્છ યુનિ.ને નેકની માન્યતા મળી તેમાં 1.91 સીજીપીએ અપાયા છે. બી ગ્રેડ મેળવવાથી યુનિ. માત્ર 0.09 સીજીપીએ છેટું રહ્યું છે. - આ તમામ પરિબળોનાં કારણે સી ગ્રેડ મળ્યો : યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ સી-ગ્રેડનાં કારણો જોતાં 2018થી 2023 દરમિયાન કોરોના મહામારી, અન્ય કુદરતી આફતો, કાયમી પ્રાધ્યાપક અને કર્મચારીઓની અછત, મર્યાદિત રીતે કરાયેલા ઓછા સંશોધન કાર્ય, વિદ્યાર્થીઓનું કચ્છ બહાર સ્થળાંતર અને યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલોપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. - નેકની માન્યતા મળવી જ મહત્ત્વપૂર્ણ : કુલપતિ : કુલપતિ ડો. મોહનભાઇ પટેલે યુનિવર્સિટીને સૌપ્રથમ નેકની માન્યતા મળવી મહત્ત્વપૂર્ણ છે તેવું કહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં કાર્યોને નેકના મૂલ્યાંકન દરમિયાન યોગ્ય રીતે પ્રસ્તુત કરાયાં, પરંતુ અમુક મર્યાદાઓનાં કારણે યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો છે. ખાસ કરીને સંશોધન ક્ષેત્રમાં જોઇએ તેટલું કામ ન થતાં ગ્રેડિંગ અપેક્ષાથી થોડું ઓછું છે. કુલપતિએ તમામ શૈક્ષણિક કર્મચારીઓ સાથે મિટિંગ કરી અને નેકના પરિણામની ચર્ચા કરી હતી. ડો. પટેલે ઉમેર્યું કે, ભવિષ્યમાં સારા ગ્રેડ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ આયામો હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીના જે નબળાં પાસાંઓ નેક દ્વારા તેમના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે, તે મુદ્દે વધુ સારા પ્રયત્નો કરી સુધારવામાં આવશે. - નેકની માન્યતા મળતાં થશે આ ફાયદો : કચ્છ યુનિ.ને નેકની માન્યતા મળતાં મહત્ત્વનો ફાયદો એ થશે કે, વિદ્યાર્થીઓની માર્કશીટમાં એક્રેડિટેટેડ લખાશે જે તેમની કારકિર્દી માટે ઉપયોગી બનશે વળી કેન્દ્ર સ્તરેથી મળતી ગ્રાન્ટમાં વધારા સાથે જે કોઇ નવી યોજના અમલમાં મુકાય તેનો લાભ મેળવી શકાશે, તો નેશનલ રેન્કિંગમા પણ કચ્છ યુનિ. પોતાની હિસ્સેદારી નોંધાવી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd