હૃદય ધબકાર ચૂકી જાય તેવી વિમાની દુર્ઘટનામાં જેમનાં પણ મૃત્યુ થયાં છે તે પ્રત્યેકની જિંદગી અમૂલ્ય જ હતી, પરંતુ આ દુર્ઘટનામાં ગુજરાતે અને ભારતીય જનતા પાર્ટીએ એક પ્રતિબદ્ધ, કર્મઠ અને પોતાનાં કામને સમર્પિત નેતા ગુમાવ્યા છે. ગુજરાતના જાહેર જીવનને, રાજકીય ક્ષેત્રને થયેલી આ ક્ષતિ સામાન્ય નથી. વિજય રૂપાણીની આમ અચાનક વિદાયથી રાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના હજારો કાર્યકર્તા, રૂપાણીના પરિવાર જ નહીં પરંતુ સાવ સામાન્ય જનતાએ પણ પોતાની વ્યક્તિ ગુમાવ્યાની ગ્લાનિસભર અનુભૂતિ કરી છે. જો કે, વિજયભાઇની નિષ્ઠા, નિરાશ થયા વગર કર્મ કર્યે રાખવાના અભિગમને લીધે તેમની કારકિર્દી ફક્ત રાજકોટ સુધી સીમિત ન રહી. ભારતીય જનતા પાર્ટીએ વિજયભાઈના `સૌને સાથે રાખીને ચાલવાનાં' વલણને ધ્યાને રાખીને પ્રદેશ મહામંત્રી, પ્રદેશ પ્રવક્તા, પ્રદેશ પ્રમુખ સહિતની મહત્ત્વની જવાબદારી આપી. કાર્યકર્તાઓની એક મોટી હરોળ તેમણે તૈયાર કરી, તો સામે વીસ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનું અધ્યક્ષપદ, રાજ્યસભામાં સદસ્યતા, ધારાસભ્યપદ, રાજ્યની કેબિનેટમાં સ્થાન, મુખ્યમંત્રી પદ અને છેલ્લે પંજાબ રાજ્યના પ્રભારી પણ બનાવ્યા. તેમની આવડત, સૂઝ અને ધૈર્યને લીધે પાર્ટીએ આવી જવાબદારીઓ સોંપી. સૌથી અગત્યનું એ છે કે, જ્યારે તેમને જે સોંપાયું ત્યારે તે નિષ્ઠાથી કર્યું, પરંતુ કોઈ અપેક્ષા તેમણે પક્ષ પાસે રાખી નહોતી. 1995માં સત્તા મળ્યા પછી થોડા જ સમયમાં ગુજરાત ભાજપનો કપરોકાળ શરૂ થયો, પાર્ટી તૂટી ત્યારે અને ત્યાર પછીના તમામ સંજોગો-સ્થિતિમાં વિજયભાઈ પક્ષની સાથે રહ્યા. `વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ' સૂત્રનો તેમણે ચુસ્ત અમલ પણ કર્યો. મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ હોય, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી કે આનંદીબેન પટેલ, વિજયભાઈ હંમેશાં તેમની `જમણી તરફ' ચાલ્યા અને રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલાં કામો ઉલ્લેખનીય છે. તેમના કાર્યકાળ દરમિયાન તાઉતે વાવાઝોડું, કોરોના જેવી વિપદાઓ આવી, તેમાં પણ સામા પ્રવાહે તરીને તેમણે પ્રજાલક્ષી કામો કર્યાં. ગુજરાતમાં પ્રથમ એઈમ્સ, સૌરાષ્ટ્રને ઈન્ટરનેશનલ એરપોર્ટ અપાવવામાં તેમના સંનિષ્ઠ પ્રયાસ હતા. રાજકોટ-અમદાવાદ વચ્ચેનો સિક્સલેન હાઈ-વે, અદ્યતન ટેક્નોલોજીથી બનેલા બ્રિજ સહિતનાં કાર્યોથી તેમણે રાજ્યના વિકાસને ગતિ આપી. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેનું બિરુદ મેળવ્યું, કરુણા અભિયાન અંતર્ગત પશુઓ-પક્ષીઓ માટે મોબાઈલ દવાખાનાં, એમ્બ્યુલન્સ, શ્રમિકો માટે દસ રૂપિયામાં ભોજન જેવી યોજના, વરિષ્ઠ નાગરિકો માટે તીર્થયાત્રા જેવાં કાર્યો તેમના નેતૃત્વવાળી સરકારમાં થયા. જ્યારે જ્યારે પક્ષ નાજૂક સ્થિતિમાંથી પસાર થયો ત્યારે કોઈ પણ પ્રલોભનને વશ થયા વગર પ્રતિબદ્ધતા, પરિપક્વતાથી કાર્ય કરનાર એક કાર્યકર્તા-નેતા ભાજપે ગુમાવ્યા છે. મુખ્યમંત્રી પદે બીજી ટર્મ હતી, પક્ષે આદેશ કર્યો તો કોઈ પ્રશ્ન પૂછયા વગર તેમણે રાજીનામું આપી દીધું, ફરી પક્ષનાં અન્ય કામમાં લાગી ગયા. બીજી ટર્મ થોડી ચર્ચાસ્પદ પણ રહી. અનેક આક્ષેપો કર્ણોપકર્ણ થયા. પદત્યાગ પછી તેમના વિશે અનેક વાતો ફેલાવવામાં આવી, પરંતુ તેઓના ચહેરા પર બે બાબત શાશ્વત રહેતી, મૌન અને સ્મિત. સામાન્ય જનતાને પણ હંમેશાં પોતાની નજીકના તેઓ લાગ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ પણ વિમાન દુર્ઘટનામાં 1965માં પોતાના પ્રાણ ખોયા હતા. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું અપમૃત્યુ પણ વિમાન દુર્ઘટનામાં 2011ના એપ્રિલમાં થયું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એસ.વાય. રાજશેખરનું હેલિકોપ્ટર કુર્નુલમાં ક્રેશ થયું અને તેમનું મૃત્યુ થયું હતું. સંજય ગાંધી, માધવરાવ સિંધિયા જેવા નેતાઓએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યાનું તવારીખમાં દર્જ છે. વિજય રૂપાણીની આ અણધારી વિદાય એવે સમયે છે જ્યારે તેમણે જાહેર જીવન, રાજનીતિમાં સુદીર્ઘ કારકિર્દી વીતાવી છે છતાં પક્ષને તેમની જરૂર હતી. પ્રજાને તેમના પ્રત્યે પ્રેમ હતો.