તેલ અવીવ / તેહરાન, તા. 17 : મધ્ય પૂર્વમાં
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ પાંચમા દિવસે વધુ ભીષણ અને લોહિયાળ બન્યો
હતો. એકતરફ ઇરાને તેલ અવીવમાં ઇઝરાયલની ખતરનાક ગુપ્તચર એજન્સી મોસાદના વડામથક પર હુમલો
કર્યો હતો. સૈન્ય જાસૂસીથી જોડાયેલી ગુપ્તચર એજન્સી `અમન'ની ઇમારતનેય ઇરાની મિસાઇલોએ નિશાને લીધી હતી તો બીજીતરફ ઇઝરાયલે હવાઇ હુમલામાં
ઇરાનના ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ અલી શાદમાનીનું મોત નીપજાવ્યું હતું. ઇઝરાયલે ધમકી
આપી છે કે, ઇરાનના સર્વોચ્ચ આયાતુલ્લાહ અલી ખોમૈનીની હાલત પણ
સદ્દામ હુસૈન જેવી થશે. શાદમાની ઇરાનની ખતમ-અલ-અનબિયા વડામથક (સૈન્ય કટોકટી કમાન)ના
વડા હતા. તેમણે ચાર દિવસ પહેલાં જ પદ સંભાળ્યું હતું. દરમ્યાન જી-7માંથી અધવચ્ચેથી અમેરિકા પરત ફરેલા રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે સૌને તેહરાન છોડી દેવાનું કહેતાં ભારે ભયના માહોલ વચ્ચે નાસભાગની સ્થિતિએ
અફરાતફરી મચી છે. કેમ કે આ સંઘર્ષમાં અમેરિકાય ઝંપલાવે તેવા ડરથી હજારો લોકો ઇરાની
પાટનગરમાંથી નાસવા લાગતાં માર્ગો પર કિલોમીટર સુધી ભારે ભીડ જામી હતી. ઇઝરાયલી હુમલામાં
નિશાન બનેલા ઇરાનના નતાંઝ અણુ એકમને ભારે નુકસાન થયાનું સામે આવી રહ્યું છે. તેહરાનમાં
રાત્રે મોટા વિસ્ફોટ થયા હતા. આજે પણ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઘાતક મિસાઈલ હુમલા ચાલુ
રહ્યા હતા અને બન્ને દેશ ધણધણતા રહ્યા હતા. જેમાં ઈઝરાયલે આજે ઈરાનને મોટો ઝટકો આપ્યાનો
દાવો કર્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમૈનીની નજીક ગણાતા અને ઈરાનના સશત્ર દળોના
નવનિયુક્ત ચીફ ઓફ સ્ટાફ અને સૈન્ય કમાન્ડર અલી શાદમાનીને ખતમ કરી નાખવામાં આવ્યા હોવાનું
ઈઝરાયલે કહ્યું હતું. આ ઉપરાંત ઈઝરાયલે ખોમૈનીની હાલત પણ સદ્દામ હુસેન જેવી કરવાની
ધમકી પણ આપી હતી. ઈઝરાયલ અને ઈરાનનાં મહાનગરો આજે પણ સામસામા હુમલાનાં કારણે વિસ્ફોટોથી
ખળભળ્યા હતા. જેમાં ઈઝરાયલના હુમલાઓમાં ઈરાનમાં થયેલા મૃત્યુનો આંકડો વધીને 220 થઈ ગયો હતો. તો સામે પક્ષે
ઈરાનના હુમલાઓમાં ઈઝરાયલમાં પણ 20ના મૃત્યુ
થયા છે. મધ્યપૂર્વની આ તંગદિલી ચરમ ઉપર પહોંચી જતાં જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યાત્રા અધવચ્ચેથી છોડીને પરત ફરી ગયા હતા. ટ્રમ્પે કહ્યું
હતું કે, તેમના પ્રયાસો યુદ્ધવિરામ માટે નહીં બલ્કે આ
ઘર્ષણના કાયમી અંત માટેના છે. ઈઝરાયલની સેના આઈડીએફે દાવો કર્યો હતો કે, સોમ અને મંગળવારની રાતે તેહરાનના મધ્યભાગે હુમલો બોલાવવામાં આવ્યો હતો અને
તેમાં ચીફ ઓફ સ્ટાફ શાદમાની મરાયા હતા. ઈરાન માટે સેનાના શીર્ષ અધિકારીનું મૃત્યુ યુદ્ધના
સમયમાં એક મોટા આચકારૂપ છે. ઈરાનના હવાઈ હુમલાઓના પગલે આજે પણ ઈઝરાયલમાં સાયરન વાગતા
રહ્યા હતા અને તેના હિસાબે નાગરિકોને બંકર સહિતનાં સલામત સ્થાનો ઉપર આશ્રય લેવાની ફરજ
પડી હતી. દરમિયાન ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) દ્વારા આજે પુષ્ટિ કરવામાં
આવી હતી કે, ઈઝરાયલના હુમલામાં ઈરાનનાં પરમાણુ કેન્દ્રોને સીધું
નુકસાન થયું છે. કેનેડામાં એકત્ર થયેલા જી-7ના નેતાઓએ પણ બન્ને દેશ વચ્ચે વહેલીતકે શાંતિ સ્થાપિત થાય તે
માટે પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી. યુરોપીયન યુનિયને પણ કૂટનીતિના માધ્યમથી
ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને અટકાવવાના પ્રયાસ થવા જોઈએ તેવું કહીને શાંતિના પ્રયાસો
માટે આગ્રહ કર્યો હતો. જો કે, ખુલીને
ઈઝરાયલને સમર્થન કરતાં કહ્યું હતું કે, ઈરાન કોઈ પણ હિસાબે પરમાણુ
શત્રો રાખી શકશે નહીં.